હાઈકોર્ટના અવલોકનો, સૂચનો સંદર્ભે રાજ્ય સરકાર આગામી સપ્તાહે જવાબ રજૂ કરશે : નીતિન પટેલ

ગાંધીનગરઃ ગુજરાતની નામદાર વડી અદાલતે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને લઈને સુઓમોટો રીટ, ફરિયાદ, કોઈ સૂચન કે નનામી અરજીને ધ્યાનમાં લઈને જે અવલોકનો કર્યાં છે, જે આદેશો આપ્યા છે, જે માર્ગદર્શન આપ્યું છે એ અંગે રાજ્ય સરકારે એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સાથે વિગતવાર ચર્ચા કરી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કાયદા મંત્રી, મુખ્ય સચિવ, આરોગ્ય અગ્ર સચિવ, મુખ્યમંત્રીશ્રીના વરિષ્ઠ અધિકારીઓ વગેરે એ આજે વિસ્તૃત ચર્ચા કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. નામદાર હાઈકોર્ટે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, કેટલાક અવલોકનો કર્યાં છે, કેટલાક સુચનો કર્યા છે અને કેટલીક ગાઇડલાઇન આપી છે. આ તમામ સંદર્ભે રાજ્ય સરકાર આગામી અઠવાડિયામાં પોતાનો જવાબ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરશે.

શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીની ન્યાયિક પરંપરા પ્રમાણે અને જ્યુડિશિયરીના નિયમો પ્રમાણે જે બાબતો નામદાર અદાલત સમક્ષ વિચારાધીન છે એ અંગે મારે કંઇ કહેવાનું નથી, પરંતુ પ્રચાર માધ્યમોએ અને દૈનિકપત્રોએ આરોગ્ય મંત્રીની કામગીરીની ટીકા કરી છે અને આરોગ્ય મંત્રી તરીકે મેં કેટલી વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે તે અંગે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની જનતા જાણી શકે એ માટે મારે કહેવું જોઈએ કે, આરોગ્ય મંત્રી તરીકે છેલ્લા બે મહિનામાં મેં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની પાંચ વખત વિગતવાર મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન તજજ્ઞ ડૉક્ટર, અમદાવાદ શહેરના અને ગુજરાતના નિષ્ણાત ખાનગી તબીબો અને વિશેષજ્ઞો સાથે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ત્રણ વખત બેઠકો કરીને ગુજરાતની વધુ સારી સેવા કઈ રીતે કરી શકાય તે બાબતે પરામર્શ કર્યો છે. આ બેઠકો વખતે મુખ્યમંત્રીશ્રીના ખાસ સચિવ શ્રી કૈલાસનાથન, સિવિલ હોસ્પિટલની વિશેષ જવાબદારી સંભાળતા અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતી રવિ પણ સાથે હતા.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારી વય 64 વર્ષની છે આગામી 22મી જૂને મને 65 મું વર્ષ બેસશે. કોરોનાની માર્ગદર્શિકા પ્રમાણે સિનિયર સિટીઝને ઘરની બહાર નીકળવું પણ જોખમી છે. અમારા પરિવારના સભ્યો પણ સ્વાભાવિકપણે જ ચિંતા કરીને અમને બહાર જતા અટકાવે છે. એવા સંજોગોમાં મેં એક પણ વખત બહાર જવાનું ટાળ્યું નથી. મને આ વર્ષે 65 વર્ષ પુરા થશે ત્યારે કોરોનાની આ મહામારી સામે સિનિયર સિટીઝનોને બહાર જવાની છૂટ ન હોવા છતાં પણ હું જનહિતમાં હોસ્પિટલોની વિઝીટ અને તબીબો સાથે બેઠકો કરીને આ સ્થિતિનું આરોગ્ય મંત્રીના નાતે સતત મોનીટરીંગ કરી રહ્યો છું. એટલું જ નહીં મુખ્યમંત્રી રિલિફ ફંડમાં દાન આપવા આવતા વિવિધ સંસ્થાઓના વડાઓ, પ્રતિનિધિઓ અને અગ્રણીઓને રૂબરૂ મળીને તેમના ચેકનો સ્વીકાર કરતો રહ્યો છું અને કરતો રહીશ. મુલાકાતો ટાળવાની તબીબી નિષ્ણાતોની સલાહ હોવા છતાં માત્ર ને માત્ર પ્રજાના હિત માટે જ ચેક સ્વીકારવા માટેનું આ જોખમ લઇ રહ્યો છું. અત્યાર સુધીમાં અંદાજે રૂ.450 કરોડથી વધુ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન પેટે આવી છે.

અમદાવાદના ધારાસભ્યો શ્રી શૈલેષ પરમાર, શ્રી ઈમરાનભાઈ ખેડાવાલા અને શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાતે આવ્યા હતા. આ ત્રણેય આગેવાનોના વિસ્તારોમાં સૌથી વધુ પોઝિટિવ કેસ અને કોરોનાનું સૌથી વધુ સંક્રમણ હતું. આ નેતાઓ પૈકી શ્રી ઈમરાનભાઈ ખેડાવાલા પોતાના સેમ્પલ આપીને આવ્યા હતા, ટેસ્ટનું પરિણામ બાકી હતું. એ સાંજે એમને પોઝિટિવ જણાયો. આવી ગંભીર પરિસ્થિતિમાં આ મુલાકાત વખતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે હું અને ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર હતા. નિયમ પ્રમાણે અમારે પણ સાત દિવસ સુધી ક્વૉરેન્ટાઈન રહેવું પડ્યું હતું. આમ છતાં પ્રજાના હિતમાં જોખમ લઈને પણ અમે અમારું કામ એ પછી પણ ચાલુ રાખ્યું છે. (માહિતી)

શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના આ કપરા સંજોગોમાં જ્યાં તમામ લોકો વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરીને કામગીરી કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ સતત 55 દિવસથી આવા ટેન્શન વચ્ચે પણ સતત કલાકો સુધી બેઠકો કરીને કામગીરી કરી રહ્યા છે. આ અમારી જવાબદારી છે, અમારું કર્તવ્ય છે. અમારી આ કામગીરીને હકારાત્મક રીતે જોવી જોઈએ, રાજ્ય સરકારના નાનામાં નાના કર્મચારીથી લઈને પોલીસ વિભાગ, ડોક્ટરો, નર્સો પેરામેડિકલ સ્ટાફ, ઉચ્ચ અધિકારીઓ તમામ જે ખરેખર કોરોના યોદ્ધા તરીકે પડકારભર્યું કામ કરી રહ્યા છે તેમને પ્રોત્સાહન આપવાની જરૂર છે, તેમને અભિનંદન આપવાની જરૂર છે. જે કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની જાતને જોખમમાં મૂકીને કામ કરી રહ્યા છે તે સૌને શુભેચ્છાની જરૂર છે. ગુજરાત સામે કોરોનાનો પડકાર હજુ ઊભો જ છે ત્યારે રાજ્ય સરકારના આ યોદ્ધાઓને નિરુત્સાહિત કરવાને બદલે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આવા કપરાકાળમાં એકબીજાને હુંફ આપવાની આવશ્યકતા છે. સહિયારા પ્રયત્નોથી જ આપણું ગુજરાત સફળતાપૂર્વક બહાર આવશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ ૬૦ દિવસમાં ગુજરાત સરકારના સમગ્ર વહીવટી તંત્રે ખૂબ સારું કામ કર્યું છે. પરંતુ કેટલાક કમનસીબ બનાવોને આગળ કરીને રાજ્ય સરકારને બદનામ કરવાના પ્રયત્નો થાય એ યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના મિત્રોને ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ મારે એમને કહેવું છે કે, તેઓ કોંગ્રેસના ટેકાથી ચાલતી મહારાષ્ટ્ર સરકારની શું સ્થિતિ છે તેની સરખામણી પણ કરી જુએ. ગુજરાતે આખા ભારતમાં સૌથી વધુ શ્રમિકોને ખુબ જ સરસ રીતે માનવતા દાખવીને પોતાના વતનમાં મોકલ્યા છે જ્યારે મુંબઈમાં આવું કોઈ કામ નથી થઈ શક્યું. ગુજરાત સરકારે આવી કઠીન પરિસ્થિતિમાં પણ શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે.

આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં માર્ચના છેલ્લા અઠવાડિયામાં કોરોના દેખાવાની શરૂઆત થઈ ત્યારથી આ 60 દિવસમાં સળંગ 55 દિવસ સુધી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કલાકો સુધી બેઠકો કરીને આ પડકારને પહોંચી વળવા રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે. ગુજરાતની જનતાને, ગુજરાતના નાગરિકોને સુરક્ષિત રાખવા જે પણ કરી શકાય તે માટેની કામગીરી કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓની સારવાર માટે કેન્દ્ર સરકાર અને ICMR ની ગાઈડ લાઈન પ્રમાણે કામગીરી કરવાની હોય છે. કોઈપણ રાજ્ય સરકાર સ્વતંત્ર રીતે સારવાર કે ટેસ્ટની પદ્ધતિ અમલમાં મૂકી શકે નહીં. સમગ્ર ભારતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ તમામ રાજ્યો કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને અનુસરે છે. ગુજરાતમાં પણ ICMR ની ગાઈડલાઈન પ્રમાણે વરિષ્ઠ અધિકારીઓએ આ કામગીરીને ખુબ સરસ રીતે ઉપાડી લીધી છે.

રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ દેખાયો ત્યારથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કોર ગ્રૂપની બેઠકમાં નિર્ણય કરીને રાજ્યમાં ચાર મહાનગરોમાં 2100 પથારીઓ સાથેની ડેડીકેટેડ કૉવીડ હોસ્પિટલોનું નિર્માણ યુદ્ધના ધોરણે હાથ ધરાયું. રાજ્યની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા અને પુરતા સંસાધનો ઉપલબ્ધ કરાવવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી. નાણા વિભાગના વરિષ્ઠ સચિવો શ્રી પંકજ જોશીના અધ્યક્ષપદે પરચેઝ કમિટીની રચના કરવામાં આવી અને જ્યારે સમગ્ર દેશમાં લૉકડાઉન હતું તેવા સંજોગોમાં વેન્ટિલેટર, ડાયાલીસીસ મશીનો, પી.પી.ઈ.કીટ વગેરેની જરૂરિયાતોને પહોંચી વળવા અસરકારક પ્રયત્નો થયા છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, રાજયમાં માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજકોટ ખાતે પ્રથમ કેસ પોઝિટિવ આવ્યો ત્યારથી લગભગ દરરોજ સાંજે કોર કમિટીની બેઠક મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાય છે. છેલ્લા પંચાવન દિવસથી એકપણ દિવસની રજા ભોગવ્યા સિવાય જનહિત માટે કલાકો સુધી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજીને પડકારને પહોંચી વળવા અને ગુજરાતની જનતાને વધુ સુરક્ષિત રાખવા સતત કામગીરી કરી રહ્યા છીએ. આ બેઠકમાં કોવિડ-19 સામે લડવા માટેની ચોક્કસ રણનીતિ ઘડીને જરૂરીયાત મુજબ નિર્ણયો લઈને નાગરિકોને ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. આ કોર કમિટીમાં નાયબ મુખ્યમંત્રી, શ્રી ગૃહ રાજ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવ શ્રી, પોલીસ મહાનિર્દેશકશ્રી, ગૃહના અધિક મુખ્ય સચિવશ્રી અને આરોગ્ય અગ્રસચિવશ્રીનો સમાવેશ કરવામાં આવેલો છે. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ પણ આ કમિટીના સભ્ય છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં 19 માર્ચે વિદેશથી પાછા આવેલા વ્યક્તિનો નોંધાયો હતો ત્યારબાદ રાજયમાં કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. તેને ધ્યાને લઈને રાજય સરકારે તારીખ ૨૧મી માર્ચે અમદાવાદ ખાતે 1200 બેડ, સુરત ખાતે 500, વડોદરા ખાતે 250 અને રાજકોટ ખાતે 250 બેડ મળી કુલ 2200 બેડની સરકારી ડેડીકેટડ કોવિડ-૧૯ હોસ્પિટલની જાહેરાત કરીને માત્ર ૧૦થી ૧૨ દિવસના ટૂંકાગાળામાં જ આ હોસ્પિટલો રાજ્ય સરકાર દ્વારા ઉભી કરી દેવામાં આવી હતી. એ જ રીતે એપ્રિલ માસમાં રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ૩૧ ખાનગી/ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આશરે ૨૧ હજાર જેટલા બેડ કોવિડ-19 માટે અનામત રાખવામાં આવ્યા છે.

તેમણે કહ્યુ કે, મુખ્યમંત્રીશ્રી જાતે કોવિડના દર્દીઓ, સારવાર આપી રહેલા ડોક્ટર, નર્સ, હોમ કવૉરન્ટાઈનમાં રહેલા લોકો, ફરજ બજાવતા પોલીસકર્મીઓ, સફાઈકર્મીઓ, સરપંચો, શહેરોની સોસાયટીના લોકો, ધર્મગુરુઓ, ધારાસભ્યો, સાંસદસભ્યો, વેપારી આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સ, કલેકટર, કમિશનર, પોલીસ કમિશનર સહિતના સમાજના અનેક વર્ગો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ યોજીને તેમના દ્વારા હાથ ધરાઈ રહેલ કામગીરીની સમીક્ષા પણ કરે છે. એટલું જ નહી, રાજ્યમાં કોવિડ-19ને સ્પર્શતી કામગીરી સારી રીતે થાય તે માટે સિનિયર IAS અધિકારીઓને ચોક્કસ જવાબદારી પણ સોપીને સતત મોનીટરીંગ પણ કરાઈ રહ્યુ છે.

શ્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી પર દેખરેખ, માર્ગદર્શન અને સુપરવિઝન માટે વરિષ્ઠ સચિવોને પણ જે તે જિલ્લામાં ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. તેમાં અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારને અમદાવાદ સિવિલ મેડી સિટી કેમ્પસ, શ્રી રાજીવ કુમાર ગુપ્તાને અમદાવાદ મહાનગર તેમજ કૃષિના અધિક મુખ્ય સચિવને ક્રિટીકલ કેર માટેની જવાબદારીઓ સોંપાઈ છે. આ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીના માર્ગદર્શન માટે ત્રણ સચિવોને રાજ્યના ૧૨ જિલ્લાઓમાં પણ સચિવ કક્ષાના આવા અધિકારીઓને આવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

શ્રી પટેલે ઉમેર્યું કે, અમદાવાદ મહાનગરમાં કન્ટેન્ટમેન્ટ ઝૉનમાં આવતા 10 વોર્ડમાં લોકોને ઘર આંગણે આરોગ્ય સેવા-સારવાર માટે 40 ધન્વંતરી રથ-મોબાઇલ મેડિકલ વાન, ડોક્ટરની ટીમ સાથે કાર્યરત કરવામાં આવી અને તેનું પણ સમગ્ર સંકલન IAS અધિકારીઓને સોંપવામાં આવ્યું છે.સર્વેલન્સ તથા કોરોના ટેસ્ટીંગની કામગીરીને વધુ સઘન બનાવવા માટેની સમગ્ર જવાબદારી પણ સચિવ કક્ષાના IAS અધિકારીને સોંપવામાં આવી છે

તેમણે ઉમેર્યું કે,રાજ્યમાં કલસ્ટર કન્ટેઇનમેન્ટ વિસ્તારો અને લેબર કેમ્પમાં રહેતી સગર્ભા બહેનો જેમનો પ્રસૂતિ સમય નજીકમાં જ હોય તેવી બહેનોના કોવિડ-19 તપાસ ટેસ્ટ રાજ્ય સરકાર કરાવે છે. સાથે સાથે રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ૧૦૦-૧૦૦ બેડની સરકારી કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં ૩૦૦ બેડની હોસ્પિટલ કોવિડ-19ના સંક્રમિતોની સારવાર માટે કાર્યરત કરી દેવાઈ છે જેમાં કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું કે, સરકાર એટલે વહીવટ કરનાર, નિર્ણય કરનાર. મુખ્યમંત્રી અને મંત્રી મંડળના સભ્યો તથા વિધાનસભા એ પ્રજહિતમાં નિર્ણયો લેવાનું અને સુચારું વહીવટ કરવાનું કામ કરે છે. જ્યારે તેનો અમલ કરાવવાનું કામ સરકારના અધિકારી કર્મચારીઓનુ છે. તેમ છતાં અમે સીધા સંપર્કમાં રહીને કોરોના સંલગ્ન હોસ્પિટલોમાં રૂબરૂ જઈએ છીએ અને જરૂરી સૂચનો કરીએ છીએ. તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરની ૧૨૦૦ બેડની હોસ્પિટલ સહિત કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલના એક વિભાગમાં તથા કેન્સર સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજ, સોલા સિવિલ હોસ્પિટલ, એસવીપી હોસ્પીટલ સહિત અમદાવાદની અન્ય 25 જેટલી હોસ્પિટલોને જોડીને કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર પૂરી પાડી છે.

હાઇકોર્ટ દ્વારા ખાનગી હોસ્પિટલોનો સહયોગ મેળવવાનું જે અવલોકન કરાયું છે તેનો ઉલ્લેખ કરતાં શ્રી પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકારે શરૂઆતથી જ આ કામગીરી પૂરી કરી લીધી છે. રાજ્યમાં ખાનગી હોસ્પિટલો કે જ્યાં બેડની સુવિધા છે તેમાં ૫૦ ટકા બેડ સરકારને ફાળવવા ફરજિયાત કરીને રિઝર્વ કર્યા છે. આ ૫૦ ટકા બેડનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. નાગરિકોએ એક પણ પૈસાનો ખર્ચ ભોગવવો ન પડે તેવી વ્યવસ્થા કરી છે. તમામને દવા, સારવાર અને રહેવાનો ખર્ચ સરકાર આપે છે એ જ રીતે જે નાગરિકોને કવોરન્ટાઇન કરવાના થયા તેમને સમરસ હોસ્ટેલ સહિત અમદાવાદ શહેરની અન્ય સંસ્થાઓમાં કર્યા છે અને તેનો તમામ ખર્ચ પણ સરકારે ઉઠાવ્યો છે.

નામદાર કોર્ટ દ્વારા ટેસ્ટિંગ કીટ સંદર્ભે કરેલા સૂચન સંદર્ભે શ્રી પટેલે કહ્યું કે ભારત સરકારે ગુજરાતને જેટલી કીટ જોઈએ એટલી ફાળવી છે અને રાજ્ય સરકાર દ્વારા દરરોજ સરેરાશ પાંચ હજારથી વધુ ટેસ્ટ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કર્યા છે, જે અન્ય રાજ્યોમાં થતા નથી. ખરેખર પૂરતા પ્રમાણમાં ટેસ્ટ થાય તો જ સાચી માહિતી બહાર આવી એટલે અમે શરૂઆતથી જ ટેસ્ટીંગની સંખ્યા વધારીને સામેથી સર્વેલન્સની કામગીરી કરી છે.

શ્રી પટેલે ઉમેર્યું કે, કોરોનાની મહામારી અને લોકડાઉન દરમિયાન મધ્યમ વર્ગીય પરિવારોને લાખો ટન અનાજ ભારત સરકારના સહયોગથી રાજ્ય સરકારે વિતરણ કર્યું છે એ જ રીતે ગુજરાતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોને તેમના માદરે વતન જવા માટે સૌથી વધુ શ્રમિક ટ્રેનો પણ ગુજરાતે દોડાવી છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં શ્રમિકોને રવાના કર્યા છે. શરૂઆતના તબક્કે લોકડાઉનમાં હજારો શ્રમિકો પગપાળા તેમના વતન જવા નીકળી પડ્યા હતા તે સમયે પણ રાજ્યની સંવેદનશીલ સરકારે તેમને બસો દ્વારા મોકલવાનો મહત્વનો નિર્ણય કરીને તેમના રાજ્યની બોર્ડર સુધી પહોંચતા કર્યા છે. સાથે સાથે લોકડાઉન-૪ માં જે છૂટછાટો આપી છે તે વેળાએ પણ સુરત ખાતેથી ચારથી પાંચ લાખ લોકોને સૌરાષ્ટ્ર પહોંચાડ્યા છે અને દાહોદ જિલ્લાના અનેક આદિવાસી નાગરિકોને પણ તેમના જિલ્લામાં મોકલવાની વ્યવસ્થા સરકારે કરી છે.

શ્રી પટેલે ઉમેર્યું કે અમે સતત ૫૫-૬૦ દિવસથી એકધારી કામગીરી જનહિત માટે કરી રહ્યા છીએ. એ અમારી જવાબદારી અને ફરજ છે. અમારા કામને હકારાત્મક રીતે લોકો જુએ. પ્રજા માટે કામ કરનાર લોકોને પ્રોત્સાહન આપવું જોઇએ. આરોગ્ય, પોલીસ વિભાગ સહિત અન્ય કર્મીઓ જીવના જોખમે કોરોના વોરિયર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે તેનું લોકો સ્વાગત કરે છે. એવી જ રીતે આગામી સમયમાં પણ વધુને વધુ પ્રોત્સાહન મળે તેવી હું ગુજરાતના નાગરિકોને અપીલ કરું છું