દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી; વેન્ટીલેટરના મુખ્ય પાંચ તબક્કા

અમદાવાદઃ કોરોના વાયરસની અસર દર્દીના ફેફસા પર મહદઅંશે થાય છે. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે અથવા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે ત્યારે તેને ઓક્સિજન પર રાખવું જરૂરી બની રહે છે.

સામાન્યપણે ઓક્સિજન પર રાખ્યા છે આ શબ્દ સામાન્ય જનતામાં પ્રચલિત છે.ઓક્સિજન પર દર્દી હોય એટલે વેન્ટીલેટર પર જ છે તેમ ઘણાંય માની બેસે છે પરંતુ તેવું નથી.

કોરોના સંદર્ભે સિવિલ હોસ્પિટલ એનેસ્થેસિયા વિભાગના વડા ડૉ.શૈલેષ શાહ જણાવે છે કે દર્દી જ્યારે અતિગંભીર હાલતમાં પહોંચે ત્યારે તેનામાં શ્વાચ્છોશ્વાસની તકલીફ જોવા મળે છે. શરીરમાં ઓક્સિજનની કમી જણાઈ આવતા વેન્ટીલેટર મારફતે ઓક્સિજન આપવામાં આવે છે જે પાંચ તબક્કા પ્રમાણે અલગ નિતરી આવે છે.

શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય માત્રા કરતા ઘટતુ જણાઈ આવે તેવી વ્યક્તિમાં નેઝલ પ્રોંગ એટલે નાકમાં બે નળી નાંખીને ઓક્સિજન આપવામાં આવે છે.આ પ્રક્રિયા દ્વારા ઓક્સિજન સેચ્યુરેશનનું પ્રમાણ ૯૩%સુધી જાળવવામાં આવે છે. આ તબક્કામાં ૪૦ થી ૬૦% સુધી FIO2 (Fraction of Inspired Qxygen) જાળવી શકાય છે.

બીજા તબક્કામાં જ્યારે FIO2ની જરૂરીયાત વધારે જણાઈ આવે ત્યારે એન.આર.બી.એમ.(નોન રી બ્રીધીંગ માસ્ક) લગાડવામાં આવે છે કે જેમાં ફક્ત મોં અને નાક કવર થાય તે રીતે માસ્ક મૂકી ઓક્સિજન આપવામાં આવે છે.જે માસ્કમાં રીઝર્વ બેગ પણ જોડાયેલી હોય છે જેમાં ૬ થી ૧૫ લીટર ઓક્સિજન આપી તેનું પ્રમાણ ૯૦ થી ૯૫% સુધી જાળવી શકાય છે.

ત્યારબાદના તબક્કામાં હાઇ ફ્લો નેઝલ ઓક્સિજનેશન એટલે કે નાક દ્વારા જ ઓક્સિજન આપવામાં આવે છે જેમાં ઓક્સિજનનો ફ્લો વધારે રાખવામાં આવે છે.તેમાં હ્યુમીડીફાયર હાઈ ફ્લો સાથે જોડવામાં આવે છે.આ તબક્કામાં દર્દી સભાન અવસ્થામાં હોય છે જેમાં નેઝલ કેન્યુલા દ્વારા ૧૦ થી ૭૫ લીટર સુધી ઓક્સિજનનો ફ્લો આપી શકાય છે. આ તબક્કામાં FIO2નુ઼ પ્રમાણ ૪૦ થી ૧૦૦% સુધી જાળવી શકાય છે આ તબક્કો દર્દીને વધારે માફક આવે છે

ઉક્ત ત્રણેય ઓક્સિજનના તબક્કા પછી પણ સ્થિતિ નિયંત્રણમાં ન રહે અને દર્દીની હાલત ગંભીર બનતી જણાય ત્યારે બાય પેપ માસ્ક એમાં પણ નોન ઇનવેઝીવ વેન્ટિલેટર કે જેમાં શ્વાસનળીમાં નળી નાંખ્યા સિવાય માસ્ક દ્વારા વેન્ટીલેટરથી દર્દીને શ્વાસ આપવામાં આવે છે…..જેમાં બે અલગ અલગ દબાણ રાખી દર્દીને કૃત્રિમ શ્વાચ્છોશ્વાસમાં મદદરૂપ બને તે રીતે તબક્કાવાર ઓક્સિજનનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. જેમાં કૃત્રિમ રીતે ૪૦ થી ૧૦૦ ટકા સુધી ઓક્સિજન પ્રેશર નક્કી કરી શકાય છે.

આ તબક્કામાં Awake Pronning (દર્દીને સભાન અવસ્થા) જાળવી શરીરમાં SPO2 નું પ્રમાણ વધારી શકાય છે.

આ તમામ તબક્કાઓમાં છેલ્લે ઇનવેઝીવ વેન્ટીલેટરનો તબક્કો ખૂબ જ સંવેદનશીલ અને પડકારજનક રહેલો છે. આ તમામ તબક્કાઓ પછી પણ શરીરમાં ઓક્સિજનનુ઼ં પ્રમાણ ન જળવાય, દર્દી બેભાન કે અર્ધબેભાન અવસ્થામાં પહોંચી જાય, શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં સમતોલન ન જળવાય ત્યારે છેલ્લા ઉપાય તરીકે દર્દીને ઇન્ટ્યુબેશન કરીને એટલે કે ટ્રેકીયા (શ્વાસનળીમાં) નળી નાંખીને , તે નળીને વેન્ટીલેટર સાથે જોડીને દર્દીને સંપૂર્ણપણે વેન્ટીલેટરથી શરીરમાં ઓક્સિજન પહોંચતું કરવામાં આવે છે.આ ઈન્ટ્યુબેટ પ્રક્રિયામાં દર્દીના ફેફસાને નુકસાન ન પહોંચે તે રીતે સમગ્ર પધ્ધતિ હાથ ધરવામાં આવે છે. પરંતુ વૈશ્વિક રેકર્ડ પ્રમાણે છેલ્લા તબક્કામાં પહોંચ્યા બાદ વ્યક્તિના જીવ બચવાની શક્યતાઓ ઘણી ઓછી રહેલી હોવાનું જોવાયું છે.

– વિશેષ અહેવાલ:અમિતસિંહચૌહાણ