કેન્દ્ર સરકાર દ્વારા ડીએપી ખાતરની સબસીડીમાં રૂપિયા ૮૫૦નો વધારો; પ્રતિ બેગ સબસીડી રૂ. ૨૫૦૧ થઇ

ગાંધીનગરઃ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોને સહાયરૂપ થવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા યુરીયા ખાતરના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ જ વધારો કરવામાં આવેલ નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ડી.એ.પી અને એન.પી.કે ખાતરના તેમજ તેના કાચામાલમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણો વધારો થયેલ છે. જેના પરિણામે ખાતરની પડતર કિંમતમાં ખુબ વધારો થવા પામ્યો હતો.

આ ભાવવધારાનો બોજ સીધો ખેડૂતો ઉપર ના આવે તે માટે ભારત સરકાર દ્વારા ડી.એ.પી. ખાતરમાં હાલ મળતી સબસીડી રૂ. ૧૬૫૦/- પ્રતિ બેગ હતી, તેમાં વધારો કરી રૂ. ૨૫૦૧/- પ્રતિ બેગ કરવામાં આવેલ છે. આમ, પ્રતિ બેગ રૂ. ૮૫૦/- ની માતબર સબસીડીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો લાભ રાજયના ખેડૂતોને પણ થશે. આ માટે રાજયના ખેડૂતો વતી મુખ્પમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય રાસાયણ ખાતર મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાનો આભાર વ્યકત કર્યો છે.

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ડીએપી ખાતરનો અંદાજે ૫ લાખ મે.ટન વાર્ષિક વપરાશ થાય છે. જેના કારણે રાજ્યના ખેડૂતોને વધારાની રૂ. ૮૫૦/- કરોડની સબસીડીનો ફાયદો થશે.