તિસ્તા, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ બાદ તપાસમાં આરોપી નીકળે તેવા અન્ય વ્યક્તિઓ, એનજીઓ સામે પણ તોળાતા પગલાં

અમદાવાદઃ ફેબ્રુઆરી 2002માં ગોધરાકાંડને કારણે ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો અંગે તત્કાલીન સરકાર વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરવાના કાવતરામાં સંડોવાયેલા બીજા કેટલાક લોકો, એનજીઓ તેમજ અન્યો સામે પગલાં લેવા એટીએસ સક્રિય થઈ છે. રવિવારે પત્રકારો સાથે વાત કરતા ડીસીપી (ક્રાઈમ) ચૈતન્ય મંડલિકે કહ્યું હતું કે તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે અને જેટલા પણ લોકો ગુનાઈત કાવતરામાં સંડોવાયેલા હતા એ તમામની ધરપકડ કરવામાં આવશે.

મંડલિકે કહ્યું કે, તપાસ દરમિયાન જે લોકોના નામ સંડોવાયેલા હતા તેમની સામે ચોક્કસ કેસ ચાલશે. અત્યાર સુધી જે ત્રણની ધરપકડ થઈ છે તેમની સંડોવણીની સંપૂર્ણ તપાસ ચાલુ છે. હવે સેતલવાડ, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ઉપરાંત જે જે લોકોએ એક સરખા સોગંદનામાં દાખલ કર્યા હતા તેમની તપાસ કરવામાં આવશે.

તીસ્તા સેતલવાડ, આર.બી. શ્રીકુમાર તથા સંજીવ ભટ્ટ ઉપરાંત અન્ય કેટલાક લોકો, સ્વૈચ્છિક સંગઠનો તેમજ સંસ્થાઓની તપાસ કરવામાં આવી રહી છે. ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક અહેવાલમાં સૂત્રોને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા બીજા 62 લોકો વિરુદ્ધ પુરાવા ઉપજાવી કાઢવામાં જે લોકોની ભૂમિકા હતી તેમના વિશે તપાસ કરવામાં આવી રહી છે.

ડીસીપી મંડલિકે કહ્યું હતું કે, આરોપીઓએ એસઆઈટી તેમજ અન્ય તપાસ પંચો સમક્ષ જે સોગંદનામાં દાખલ કર્યાં હતાં એ દસ્તાવેજો મેળવવામાં આવશે. આ આરોપીઓનો ઈરાદો અંધાધુંધી ફેલાવવાનો હતો તેમ તેમણે કહ્યું હતું.

અન્ય એક અધિકારીના જણાવ્યા મુજબ આરોપીઓની સાથે સાંઠગાંઠ કરનાર લોકો અમદાવાદ, દિલ્હી અને મુંબઈમાં હોઈ શકે છે તે ઉપરાંત અમુક એનજીઓના પદાધિકારીઓ અને રાજકારણીઓ પણ સામેલ હોઈ શકે છે.