કૉમનવેલ્થ રમતોમાં ભારતનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ
August 09, 2022
નવી દિલ્હીઃ રાષ્ટ્રકૂળ રમતોના ઈતિહાસમાં ચંદ્રકો જીતવાની બાબતમાં કેટલાક કારણસર આ વર્ષનો ભારતનો દેખાવ સર્વશ્રેષ્ઠ ગણી શકાય. આમ તો દિલ્હીમાં 2010માં યોજાયેલી કૉમનવેલ્થ ટુર્નામેન્ટમાં ભારત કુલ 101 ચંદ્રક જીત્યું હતું, જ્યારે 2022ની સીડબલ્યુજીમાં ટીમ ભારતે જીતેલા 61 મૅડલ શ્રેષ્ઠ ગણી શકાય તેનું કારણ એ છે કે, 2010માં જે રમતો સીડબલ્યુજીમાં સામેલ હતી તેમાંથી ઘણી રમતો 2022માં બાકાત કરી દેવામાં આવી હતી. 2022માં જે રમતો બાકાત કરી દેવામાં આવી એ રમતોમાં 2010માં ભારતે 49 ચંદ્રક મેળવ્યા હતા.
2010ની રાષ્ટ્રકૂળ રમતોમાં ભારતને જે કુલ 101 મૅડલ મળ્યા હતા તેમાં 30 ચંદ્રક શૂટિંગમાં, આઠ તિરંદાજીમાં, સાત ગ્રીકો-રોમન રેસલિંગમાં તથા ચાર ટેનિસમાં મળ્યા હતા. પરંતુ 2022ના રમતોત્સવમાં આમાંથી એકપણ રમતનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. આ રીતે સરખામણી કરવામાં આવે તો 2010ની રાષ્ટ્રકૂળ રમતોમાં મૅડલનો આંકડો 17 સુવર્ણ ચંદ્રક સાથે કુલ 52 (બાવન) થાય. એ જ ગણતરીએ 2022ના રમતોત્સવને જોવામાં આવે તો 21 સુવર્ણ ચંદ્રક સાથે કુલ આંકડો 55 થાય, અને તો પણ 2010 કરતાં સારું પરફોર્મન્સ ગણાય.
આ ગણિત 2018ની કૉમનવેલ્થ ગેમ્સને લાગુ પાડવામાં આવે અને શૂટિંગના ચંદ્રકોને બાકાત કરી દેવામાં આવે તો એ સમયનું પરફોર્મન્સ 19 સુવર્ણ ચંદ્રક સાથે 50 મૅડલનો થાય. અને એ રીતે પણ હાલના દેખાવ કરતાં ચાર વર્ષ પહેલાંનું પરફોર્મન્સ નીચું ગણાય.
ટૂંકમાં રાષ્ટ્રકૂળ રમતોની સંખ્યામાં ફેરફાર સહિત અન્ય બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો ટીમ ભારતે આ વખતે સીડબલ્યુજીમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.
નોંધપાત્ર બાબત એ પણ છે કે, આ વખતે ટેબલ ટેનિસની મેન્સ સિંગલ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર શરથ કમલ 40 વર્ષની ઉંમરના છે. તેમણે સૌપ્રથમ વખત 2006માં સિગલ્સમાં ગોલ્ડ મૅડલ હાંસલ કર્યો હતો. ઉપરાંત ટીમ ઈવેન્ટમાં પણ તે સુવર્ણ ચંદ્રક જીતવામાં સફળ રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં પાંચ વખત રાષ્ટ્રકૂળ રમતોમાં ભાગ લીધો છે અને સુવર્ણ અને રજત સહિત કુલ 13 મૅડલ જીત્યા છે.
આ વખતે બેડમિંટનમાં પણ લક્ષ્ય સેન તથા પી.વી. સંધુએ બાજી મારતાં ભારતન કુલ મૅડલ ટેલીમાં ન્યૂઝિલેન્ડને પાછળ રાખી દઇને ચોથા સ્થાને આવી ગયું છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખરીફ બિયારણની ખરીદી વખતે રાખવાની કાળજી અંગે માર્ગદર્શિકા જાહેર
- ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને ૨૦ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન
- અનંત પ્રસ્થાન પર સ્વામી સ્મરણાનંદ
- “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન
- એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન
- ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો
- સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર