નર્મદા ડેમના વધુ ૨૦ દરવાજા આજે ખોલીને એક લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાશે

રાજપીપલા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૧૪ મી ઓગષ્ટ,૨૦૨૨ ને રવિવારના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે ૧૩૫.૦૯ મીટરે નોંધાઈ હતી. હાલમાં દર કલાકે આશરે સરેરાશ ૦૩ થી ૦૪ સે.મી. પાણીની સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમમાં આજે હાલમાં આશરે સરેરાશ ૨.૫ લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૮,૩૨૦.૩૦ મિલીયન ક્યુબીક મીટર (MCM) જથ્થો નોંધાયો છે અને આજની સ્થિતિએ નર્મદા ડેમમાં પાણીનો ૮૭.૯૫ ટકા જથ્થો છે. આશરે છેલ્લા ૨૬ દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા ૨૬ દિવસમાં અંદાજે રૂા.૧૦૬.૯૪ કરોડની કિંમતનું વીજ ઉત્પાદન થયું હોવાની જાણકારી પણ સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે.

ગત તા.૧૨ મી ઓગષ્ટના રોજ નર્મદા ડેમના કુલ-૫ દરવાજા ખોલીને આશરે સરેરાશ ૧૦ હજાર ક્યુસેક જેટલું પાણી ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ ગઇકાલે તા.૧૩ મીએ સવારે આશરે ૦૭:૦૦ કલાકના સુમારે નર્મદા ડેમના ખોલાયેલા પાંચ દરવાજામાંથી બે દરવાજા બંધ કરવામાં આવ્યાં હતાં. ગઇકાલે રાત્રે નર્મદા ડેમના ઉપરવાસના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાથી રાત્રિના આશરે ૦૮:૦૦ કલાકના સુમારે ડેમના વધુ ૭ દરવાજા ૪૦ સે.મી. ખોલીને કુલ-૧૦ દરવાજા મારફત આશરે સરેરાશ ૩૦ હજાર ક્યુસેક જેટલો પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો હતો.

ડેમના ઉપરવાસમાથી પાણીનો સતત વધારો થતા આજે તા.૧૪ મી ઓગષ્ટ,૨૦૨૨ ને રવિવારના રોજ સવારે આશરે ૧૧:૩૦ કલાકના સુમારે નર્મદા ડેમના વધુ પાંચ દરવાજા ૬૦ સે.મી. ખોલીને નર્મદા ડેમમાંથી આશરે સરેરાશ ૬૦ હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ આજના દિવસે પુન: બપોરે આશરે ૦૨:૦૦ કલાકના સુમારે વધુ ૮ દરવાજા ૫૦ સે.મી. ખોલીને બપોરના ૦૨:૦૦ કલાની સ્થિતિએ કુલ-૨૩ દરવાજા ૫૦ સે.મી. ખોલીને આશરે સરેરાશ ૮૦ હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો હતો ત્યારબાદ પણ ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો નોંધાતા સરદાર સરોવર નર્મદા ડેમના ખોલાયેલા ૨૩ દરવાજાને બપોરે આશરે ૦૪:૦૦ કલાકના સુમારે ૫૦ સે.મી.થી વધારીને ૬૦ સે.મી. સુધી ખોલાયા હતા અને તે દ્વારા આશરે એક લાખ ક્યુસેક જેટલો પાણીનો જથ્થો નર્મદ નદીમાં છોડાઇ રહ્યો છે.

  • આજની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો ૮૭.૯૫ ટકા જથ્થો.
  • ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા નદીની જળસપાટીમાં હાલ સતત વધારો નોંધાઇ રહ્યો છે.
  • ભૂગર્ભ જળ વિદ્યુત મથક અને કેનાલ હેડ પાવર હાઉસ મારફત છેલ્લા ૨૬ દિવસમાં કુલ રૂા.૧૦૬.૯૪ કરોડની કિંમતનું કરાયું વીજ ઉત્પાદન.
  • વીજ ઉત્પાદન બાદ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા આજની સ્થિતિએ હાલમાં આશરે સરેરાશ ૨૦,૦૭૪ ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણી માટે છોડાઇ રહ્યું છે.
  • તા.૧૪ મી ઓગષ્ટે બપોરે ૦૪:૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૫.૦૯ મીટરે નોંધાઇ.

છેલ્લા ૨૬ દિવસથી સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસના તમામ ૦૬ યુનિટ મારફત વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૧૯ મીટરે નોંધાયેલ હતી. હાલમાં છેલ્લા ૨૬ દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૬ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતનુ ૨૦ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદીની જળસપાટીમાં હાલ સતત વધારો નોંધાઇ રહ્યોં છે.

તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૪ કેનાલ હેડ પાવર હાઉસ તા.૧૨ મી ઓગષ્ટથી સતત કાર્યરત છે અને આજે તા.૧૪ મીની સ્થિતિએ હાલમાં સરેરાશ રૂા.૯૮ લાખની કિંમતનું ૪.૮ મિલીયન યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. અને દૈનિક સરેરાશ ૨૦,૦૭૪ ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. આમ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં કુલ રૂા.૨.૯૪ કરોડની કિંમતનું વીજ ઉત્પાદન કરાયું છે, તેવી જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.

દેશ ગુજરાત