ખેડૂતોના હિતમાં ગુજરાતને ૪૭,૦૦૦ મેટ્રિક ટન આયાતી યુરિયા ખાતરનું વેસલ ફાળવવામાં આવ્યું
August 30, 2022
- — “પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના” હેઠળ ગાંધી જયંતિ-બીજી ઓક્ટોબર-૨૦૨૨થી તમામ રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓ દ્વારા એક જ સમાન પ્રકારની બેગમાં ખાતરોનું વેચાણ શરુ કરાશે
- — આગામી રવિ અને ઉનાળુ ઋતુ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ૧૨.૫૦ લાખ મે.ટન યુરિયા, ૨.૫૦ લાખ મે.ટન ડીએપી, ૨.૮૫ લાખ મે. ટન એનપીકે , ૦.૬૦ લાખ મે. ટન એમઓપી અને ૧.૫૦ લાખ મે. ટન એસએસપીનો જથ્થો મંજૂર
- — હાલ રાજ્યમાં યુરિયા ખાતરનો ૨.૫૦ લાખ મેટ્રિક ટન કરતાં વધુ જથ્થા સહિત અન્ય ખાતરો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ
- — રાજ્યમાં સારા વરસાદને પરિણામે ૮૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર
ગાંધીનગરઃ રાજ્યમાં સારા વરસાદના પરિણામે ૮૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે અને હજુ આગામી સમયમાં વધુ ૫ લાખ હેક્ટરમાં દિવેલા-ઘાસચારાના પાકોનું વાવેતર થનાર છે તેમ કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું. ખરીફ પાકોમાં યુરિયાની જરૂરિયાતને ધ્યાને લઈ તેમજ રાજ્યના ખેડૂતોને સમયસર -પૂરતું ખાતર મળી રહે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારને કરાયેલી રજૂઆતના ફળ સ્વરૂપે ઇફકો કંપની દ્વારા આયાતી યુરિયા ખાતરનું ૪૭,૦૦૦ મેટ્રિક્ ટનનું આખેઆખું વેસલ-જહાજ ગુજરાતના ખેડૂતોના હિતમાં ફાળવી આપવામાં આવ્યું છે. જેના પગલે આગામી સમયમાં પૂરતી માત્રામાં યુરિયા ખાતર રાજ્યમાં ઉપલબ્ધ થશે. હાલ રાજ્યમાં યુરિયા ખાતરનો ૨.૫૦ લાખ મેટ્રિક ટન કરતાં વધુ જથ્થા સહિત અન્ય ખાતરો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.
તેમણે કહ્યું હતું કે, આગામી રવિ અને ઉનાળુ ઋતુમાં પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર ઉપલબ્ધ થઈ શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ૧૨.૫૦ લાખ મેટ્રિક ટન યુરિયા,૨.૫૦ લાખ મેટ્રિક ટન ડીએપી,૨.૮૫ લાખ મેટ્રિક ટન એનપીકે, ૦.૬૦ લાખ મેટ્રિક ટન એમઓપી અને ૧.૫૦ લાખ મેટ્રિક ટન એસએસપીનો જથ્થો મંજૂર કરવામાં આવ્યો છે.
કૃષિ મંત્રીએ માહિતી આપી કે, હાલ દેશમાં તમામ રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા ઉત્પાદિત ખાતરોનું જુદી જુદી ડિઝાઇન વાળી બેગોમાં ખાતરનું વેચાણ કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા રાસાયણિક ખાતર પર મોટા પ્રમાણમાં સબસીડી પણ આપવામાં આવે છે જેથી ભારત સરકારના નામે જ રાસાયણિક ખાતરોનું વેચાણ થાય તે જરુરી હતું. કેન્દ્ર સરકાર દ્વારા આગામી ગાંધી જયંતિ એટલે કે તા. ૦૨ ઓક્ટોબર- ૨૦૨૨થી તમામ રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓને “પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના” હેઠળ એક જ સમાન પ્રકારની બેગમાં રાસાયણિક ખાતરો વેચવાનું ફરજિયાત કરાયું છે. જેમાં હવે સમગ્ર દેશમાં ભારત યુરિયા, ભારત ડીએપી, ભારત એમઓપી અને ભારત એનપીકે તરીકે એક જ સમાન પ્રકારની બેગમાં ખાતરો વિતરણ શરુ કરવામાં આવશે. આ પ્રકારની કામગીરીથી રાસાયણિક ખાતરના ભાવોમાં કે તેની વેચાણ પદ્ધતિમાં કોઈ ફેરફાર થનાર નથી. માત્ર એક સમાન પ્રકારની બેગમાં જ રાસાયણિક ખાતરો વેચાય તે હેતુસર આ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને ૨૦ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન
- અનંત પ્રસ્થાન પર સ્વામી સ્મરણાનંદ
- “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન
- એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન
- ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો
- સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર
- ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી