ખેતરો ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખેડૂતોને સહાય અપાશે

— સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER,સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER (એલાર્મ), MODULE STAND ની ખરીદી માટે સહાય અપાશે

— ખેડૂતને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે

— આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

ગાંધીનગરઃ  ખેડૂતોનો સર્વાંગી વિકાસ એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે તેમ જણાવતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી વધુ એક મહત્વના નિર્ણય વિશે કહ્યું કે, ખેતી પાકના રક્ષણ માટે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય અપાશે.

કૃષિમંત્રીશ્રીએ આ નિર્ણય વિશે કહ્યું કે, સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER(એલાર્મ), MODULE STAND ની ખરીદી માટે ખેડૂતને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. આ માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨થી એક માસ સુધી ખેડૂત અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે.

તેમણે ઉમેર્યું કે, વન્ય/રખડતાં પ્રાણીઓથી થતાં પાકના નુકસાનને અટકાવવા માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના રાજ્યભરમાં અમલી છે. આ યોજનામાં ક્લસ્ટરના ધોરણે ખેડૂતોને લાભ મળે છે, પરંતુ તેના સ્થાને રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જે ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેમને આ સહાય આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

કૃષિમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં અનેકવિધ નવા આયામો-સુધારા અમલી બનાવ્યા છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી સંદર્ભેની નવી યોજના માટે કુલ રૂ. ૨૦૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ ૧૩,૦૭૦ ખેડૂત ખાતેદારને વન્ય/રખડતાં પ્રાણીઓથી પાકના રક્ષણ માટે સહાયરૂપ થવા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે માહિતી આપી કે, લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ વહેલા તે પહેલાના ધોરણે ફાળવેલા લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ પોર્ટલ પર સ્વીકારવામાં આવશે. ખેડૂતો ખેતર પર રહી પાકની રખેવાળી કરવાને બદલે ખેતર ફરતે સોલાર ફેન્સીંગ થકી ઊભા પાકના રક્ષણ કરી શકે તેવા ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ યોજનાનો વધુને વધુ ખેડૂતોને લાભ લેવા કૃષિમંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.

દેશ ગુજરાત