૧૮૧ ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટનું  લોકાર્પણ; ૭૬૦૦ લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શિયા ખાતે આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂ. ૩૪૦ લાખના ખર્ચથી નિર્માણ પામેલી જીયોમેમ્બ્રન ૧૮૧ ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટનું  લોકાર્પણ કરાયું હતું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, વાવ, થરાદ અને ભાભર તાલુકાના ભૂગર્ભ જળની સપાટી ખૂબ ઊંડી જવાથી સિંચાઇ માટેના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ યોજના અમલી બનાવાઇ છે.

આ પ્રસંગે મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડુતો ખેત તલાવડીના પાયલોટ પ્રોજેક્ટથી માહિતગાર થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટની સફળતાના પગલે ઉત્તર ગુજરાતમાં આ પ્રોજેક્ટને લગતી યોજના અમલી બનાવાશે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાની પાણીની સમસ્યાના નિવારણ માટે કસરા- દાંતીવાડા પાઇપલાઇન મારફત નર્મદાનું પાણી પહોંચાડી તળાવો ભરવાનું આયોજન કરાયું છે.

ધાનેરા, દાંતીવાડા અને લાખણી તાલુકામાં સિંચાઇની સુવિધાઓ વધારવાની ખાતરી આપતા જણાવ્યું કે, સરકારી તિજોરીનો એક એક પૈસો લોકોના કલ્યાણ માટે ઉપયોગમાં આવે તેવી રીતે આ સરકાર કામ કરે છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં સિંચાઇની સુવિધાઓમા વધારવાથી વાવેતર વિસ્તારમાં ખુબ મોટો વધારો થયો છે.

તેમણે જણાવ્યું કે જન ભાગીદારીની યોજનાઓને ખુબ ટુંકાગાળામાં સારી સફળતા મળે છે એનું કારણ એમાં વ્યક્તિનું પોતાનું યોગદાન હોય છે. તેમણે કહ્યું કે આવતા ચોમાસા પહેલાં ૮૦૦ જેટલી ખેત તલાવડી બનાવવાનું કામ પૂર્ણ  કરીને સિંચાઇની સુવિધાઓમાં વધારો કરાશે. તેમણે પાણી બચાવવા પર ભાર મુકતા જણાવ્યું કે, સામૂહિક ખેત તલાવડી બને એ દિશામાં વિચારવાનો સમય આવી ગયો છે.

રાજ્યનો  એક પણ તાલુકો કિડની ડાયાલીસીસની સુવિધાથી વંચિત ન રહે તેવું આયોજન આ સરકારે કર્યુ છે. બનાસકાંઠાના વિકાસ માટે શિક્ષણ, પાણી, આરોગ્યમાં પ્રાથમિકતા આપી છે, તેમ કહી તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસ મોડેલ વિના આજે છુટકો જ નથી ત્યારે કોઇપણ લોકોના લોભ-લાલચમાં આવ્યાં સિવાય સરકારની વિકાસ યાત્રામાં સહભાગી બનીને બનાસકાંઠા જિલ્લાને સુંદરકાંઠો બનાવીએ.

આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની સિંચાઇની સમસ્યાઓ દૂર કરવા માટે આદરેલા અભિગમ બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ અને મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કસરા- દાંતીવાડા પાઇપલાઇન માટે ૧૬૫૦ કરોડની યોજના મંજૂર કરી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, પાણી એ પરમાત્માનો પ્રસાદ છે એ વાત બનાસકાંઠાના ખેડુતોને સારી રીતે સમજાઇ છે. ખેત તલાવડી બનાવવા બદલ સરકારશ્રી અને પ્રગતિશીલ ખેડુતોનો આભાર માની મંત્રીશ્રીએ કહ્યું કે, એક સમયમાં બનાસકાંઠા જિલ્લો શિક્ષણ સહિત તમામ બાબતોમાં પછાત હતો. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની અભિયાન સ્વરૂપ કામગીરીના લીધે આ જિલ્લાએ શિક્ષણમાં  ક્રાંતિ કરી છે. તેમણે કહ્યું કે, ભૂતકાળની સરકારોએ ડાર્કઝોન મુકવાથી ખેડુતોને વીજ કનેક્શન મળતા નહોતા. આ સરકારે ડાર્કઝોન હટાવીને ખેડુતોને સમય મર્યાદામાં વીજ કનેક્શન આપ્યાં છે. સરકાર ખેડુતોની પડખે ઉભી છે ત્યારે સરકારશ્રીની યોજનાનો લાભ લઇ જળ સંચયના કામો કરી આ જિલ્લાને પાણીદાર બનાવીએ.

સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં જ રહે તે માટે અભિયાન આદર્યું છે જેના પરિણામે આજે આ વિસ્તારમાં ખેત તલાવડીઓ બનાવી છે. તેમણે કહ્યું કે આ વર્ષે કુદરતની મહેરના લીધે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થયો છે જેના લીધે જળ સંગ્રહ થયો છે. સાંસદશ્રીએ જણાવ્યું કે ભૂતકાળમાં આપણે વીજળી અને પાણી વિના ટળવળતા હતા આજે સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળે છે. સિંચાઇ માટે વધુમાં વધુ ખેત તલાવડી બનાવવા તેમણે ખેડુતોને અનુરોધ કર્યો હતો.

ધારાસભ્યશ્રી નથાભાઇ પટેલે જણાવ્યું કે, સૂકાભઠ્ઠ ધાનેરા વિસ્તારમાંથી ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરવા બદલ પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને રાજ્ય સરકારનો આભાર માનું છું. ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા આ વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવા તેમણે જણાવ્યું હતું.

દેશ ગુજરાત