પાંચ વર્ષમાં ૩ લાખ મંડળીઓને બેંક સાથે જોડી તેમને બહુહેતુક બનાવાશે:અમિતભાઈ શાહ

અમરેલીઃ  આવનારા પાંચ વર્ષમાં ૩ લાખ મંડળીઓને બેંક સાથે જોડી તેમને બહુહેતુક બનાવવાની સરકારની નેમ છે. આ માટે દરેક પંચાયતમાં સહકારી મંડળીની સ્થાપના માટે રુ.૧૫૦૦ કરોડ અને તેના કમ્પ્યુટરાઇઝેશન માટે રુ.૧૦૦૦ કરોડ સહિત કુલ રુ.૨,૫૦૦ કરોડ સરકારે ફાળવ્યા છે. તથા સહકાર યુનિવર્સિટીનું નિર્માણ કરી સહકારી ક્ષેત્રની તાલીમ આપવામાં આવશે. તેનો ડેટાબેઇઝ તૈયાર કરવામાં આવશે.  જેનાથી મંડળીની પ્રગતિ ઓનલાઈન જાણી શકાશે અને તેના વિકાસ માટે કામગીરી થઈ શકશે તેમ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે આજે જણાવ્યું હતું. અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમરેલીની અમર ડેરીના પટાંગણમાં વિવિધ ક્ષેત્રોની સાત સહકારી મંડળીઓની સંયુકત વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા સભ્યોને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંનિષ્ઠ પ્રયાસોથી સહકારી ક્ષેત્રનો નવો વિભાગ બનાવીને સહકાર ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવવાની નવી દિશા કંડારી છે.

સહકાર ક્ષેત્ર પ્રત્યે સરકારની પ્રતિબધ્ધતા દોહરાવતા અમિતભાઈ શાહે કહ્યુ કે, સહકારી ક્ષેત્રના વિકાસ માટે સરકાર મધમાખી ઉછેર અને ગાય સંવર્ધન જેવા કૃષિના પૂરક વ્યવસાયને પ્રોત્સાહન આપવા સકારાત્મક પ્રયાસો કરી રહી છે. આ બાબતના સમર્થનમાં મંત્રીશ્રી શાહે ઉમેર્યુ હતુ કે કેન્દ્ર સરકારે મધમાખી ઉછેર માટે રુ.૫૫ કરોડની ફાળવણી કરી છે. મંત્રીશ્રી શાહે વધુમાં કહ્યું કે, ગોબર ગેસ, ગોડાઉન, વીજ કલેક્શન, માર્કેટિંગ, ગેસ વિતરણ એજન્સી,  જલ સે નલ વગેરે ક્ષેત્રનો  સહકારી ક્ષેત્રમાં સામેલ કરવામાં આવશે. જેનાથી સહકારી ક્ષેત્રનો વ્યાપ વધશે અને તેની પ્રગતિ વધુ સઘનપણે થઈ શકશે.

આ સંમેલનમાં કેન્દ્રીય પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને ડેરી મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, જિલ્લાનું ગૌરવ કહી શકાય એવી ગીર ગાય અને જાફરાબાદી ભેંસની ઓલાદના સંવર્ધન, તેના જતન અને તેની સશક્ત ઓલાદો જન્મે તેવા સંયુકત હેતુઓને સાકાર કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી અમરેલી જિલ્લામાં એક સંવર્ધનકેન્દ્ર શરુ થવાનું છે, જેના કારણે જિલ્લાના પશુપાલકોને ખૂબ ફાયદો થશે.

તેમણે કહ્યું કે, દેશમાં સહકારથી સમૃદ્ધિનું સૌથી મોટું ઉદાહરણ અમૂલ છે. પ્રતિદિન ૧૫૦ કરોડ રૂપિયાનું વેચાણ અમૂલના માધ્યમથી થાય છે, જેનો સીધો લાભ ઉપભોક્તાઓને થાય છે. ભારત સરકાર દ્વારા જેવી રીતે ખેડૂતોને કેસીસી આપવામાં આવી રહી છે એવી જ રીતે હવે પશુપાલકો અને માછીમારોને પણ આપવામાં આવે છે, આ ડબલ એન્જિનની સરકારમાં સહકાર અને સરકારથી સૌની સમૃદ્ધિ થઈ રહી છે.

આ કાર્યક્રમમાં સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ (પંચાલ) જણાવ્યું હતું કે, કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકાર અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ છેવાડાના માનવીની ચિંતા કરી રહ્યા છે. કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમ ડબલ એન્જિનની સરકાર છે. આ ડબલ એન્જિનની સરકારમાં લાભાર્થીઓને સીધા તેમનાં ખાતામાં જ પૈસા મળી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી માળખું આગળ વધશે અને સહકારી ક્ષેત્રે ભારતનું ભાવિ કેવું હશે તેનો  રોડમેપ તૈયાર થયો છે, તે મુજબ સહકારી માળખું મજબૂત બનાવવાની રાજય સરકારની નેમ છે.

કાર્યક્રમમાં નેશનલ કો-ઓપરેટિવ યુનિયન અને ઈફકો સહિત અનેક સહકારી સંસ્થાઓમાં વિવિધ ઉચ્ચપદે કાર્યરત શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યુ હતુ કે, જે ડેરીમાં મધઉછેર પ્લાન્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ હતુ. આજે તેમા અમર મધ પ્રોડક્ટ તૈયાર થઈ છે અને તેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ કરી રહ્યા  છે. સહકારી ક્ષેત્રમાં પારદર્શિતાથી અનોખી ભાત પાડવામાં આવી રહી છે. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા સહકારના સાત સૂત્રો મારફતે જિલ્લામાં રોજગારલક્ષી કાર્યો થયા. સહકારી સંસ્થાઓને ફડચામાંથી પુનઃજીવિત કરી સ્વભંડોળની રકમમાં વધારો થયો છે.

દેશ ગુજરાત