દુબઈના આર્ટિસ્ટે બનાવ્યા નરેન્દ્રભાઈની વડનગરથી વિશ્વનેતા સુધીની સફરના વિવિધ વિષયો પર ચિત્રો

— 17થી 23 સપ્ટેમ્બર સુધી અમદાવાદની રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે શહેરીજનો લઈ શકશે પ્રદર્શનની મુલાકાત

અમદાવાદઃ   પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 72મા જન્મદિવસે તેમના બાળપણથી લઈને આજદિન સુધીની સફર તેમજ તેમણે આપેલા વિઝનને દર્શાવતું ‘ચિત્ર પ્રદર્શન’ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકાયું. શ્રી નરેન્દ્રભાઈના ‘વડનાગરથી વર્લ્ડ લીડર’ સુધીની યાત્રાને દર્શાવતાં 12 ચિત્રો અને રેડિયો પર પ્રસારિત થતા ‘મન કી બાત’ કાર્યક્રમના વિવિધ વિષયો ઉપર 32 ચિત્રો અહીં મૂકવામાં આવ્યાં છે. જેને નિહાળી મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ આનંદ વ્યક્ત કર્યો હતો.

મૂળ કર્ણાટકના અને છેલ્લા 30 વર્ષથી દુબઈમાં સ્થાયી થયેલા આર્ટિસ્ટ શ્રી અકબર સાહેબે જણાવ્યું હતુ કે, શ્રી નરેન્દ્રભાઇના વ્યક્તિત્વ અને કાર્યોથી પ્રભાવિત થઈને તેમણે તેમની લાગણીને કેનવાસ પર ઉતારી છે. નોટબંધી, ડ્રગ્સ વિરોધી ઝુંબેશ, ખેડૂત કલ્યાણ, પાણી બચાવોનો સંદેશ, ગૌહત્યા અટકાવવા પર કામગીરી, બેટી બચાઓ-બેટી પઢાઓ, ખાદી, આર્મીનું મજબૂતીકરણ, સર્જીકલ અને ઍરસ્ટ્રાઇક, સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જ્વલા યોજના, ડિજિટલ ઇન્ડિયા સહિતના વિવિધ વિષયોની પ્રભાવક પ્રસ્તુતિ આ પ્રદર્શનમાં કરવામાં આવી છે. જેને નિહાળીને મુખ્યમંત્રીશ્રીએ ખુશી વ્યક્ત કરી શ્રી અકબરને અભિનંદન પાઠવ્યા હતા.

દેશ ગુજરાત