વડાપ્રધાન સુરત ખાતે વિજ્ઞાન અને નવીનીકરણને પ્રોત્સાહન આપતા ‘ખોજ મ્યુઝિયમ’ નું ઉદ્દઘાટન કરશે
September 25, 2022
— સુરત મહાનગરપાલિકા અને GCSRAના સંયુક્ત ઉપક્રમે તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ના CSR સમર્થનથી વિકસિત થયું ખોજ મ્યુઝિયમ
— મ્યુઝિયમમાં બનાવવામાં આવેલી બે ગેલરી, એક કાર્યશાળા અને ‘હોલ ઓફ ફેમ’ મુલાકાતીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર
ગાંધીનગર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરના રોજ સુરત ખાતે ‘ખોજ મ્યુઝિયમ’ નું લોકાર્પણ કરશે. સુરતના સીટી લાઇટ રોડ પર સ્થિત સાયન્સ સેન્ટર સુરત સંકુલ ખાતે ‘ખોજ- વિજ્ઞાન+કળા+નવીનીકરણ મ્યુઝિયમ’ વિકસાવવામાં આવ્યું છે.
ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવેલું આ મ્યુઝિયમ ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, વિવિઝ અન્વેષણ આધારિત પ્રવૃત્તિઓ અને જિજ્ઞાસા આધારિત સંશોધનો દ્વારા વિજ્ઞાન, કળા અને નવીનતાને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મોટાભાગના મ્યુઝિયમમાં એવા બોર્ડ વાંચવા મળે છે કે, ‘મહેરબાની કરીને અડકશો નહીં’, પરંતુ તેનાથી વિરુદ્ધ આ મ્યુઝિયમમાં મુલાકાતીઓને વિવિધ પ્રદર્શનો અને કોન્સેપ્ટ્સમાં ભાગ લેવા, વાર્તાલાપ કરવા, રમવા અને સંશોધનો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
View this post on Instagram
બે ગેલરી, કાર્યશાળા અને હોલ ઑફ ફેમ બનશે આકર્ષણના મુખ્ય કેન્દ્રો
સુરતમાં વિકસિત આ ખોજ મ્યુઝિયમમાં મુખ્યત્વે બે ગેલરી, એક કાર્યશાળા અને એક ‘હોલ ઑફ ફેમ’ વિકસિત કરવામાં આવ્યા છે. મ્યુઝિયમના ભોંયતળિયે વાયરોસ્ફિયર ગેલરી પ્રદર્શિત કરવામાં આવી છે. આ ગેલરી વાયરસ એટલે કે વિષાણુઓ અને તેમના જીવનના વિવિધ પાસાંનો અનુભવ આપે છે, જેમાં વિષાણુનો પરિચય, વિષાણુનો ઇતિહાસ, સૂક્ષ્મ જીવોનું વિશ્વ, વિષાણુનો ફેલાવો, કોરોના વાયરસ અને મહામારી દરમિયાન થયેલા નવીનીકરણનો સમાવેશ થાય છે. મ્યુઝિયમના આ ભાગમાં વિદ્યાર્થીઓ વિષાણુના વિવિધ પાસાંને સમજવા માટે કેટલીક પ્રવૃત્તિઓ, પ્રયોગો અને અન્વેષણો કરશે. આ તમામ પ્રવૃત્તિઓ માટે દ્રશ્ય-શ્રાવ્ય સાધનો અને માહિતીદર્શક પેનલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મ્યુઝિયમના પ્રથમ માળ પર એક કાર્યશાળા ડેવલપ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને કલાકાર, વૈજ્ઞાનિક, તકનીકી પ્રેમી, કારીગર, સસ્ટેનેબલ વિકાસનો સૈનિક, સંગીતકાર વગેરે બનવા માટે પ્રેરણા આપવાનું કામ કરશે.
આ ઉપરાંત, અહીંયા ‘હોલ ઑફ ફેમ’નો આઇડિયા પણ વિકસિત કરવામાં આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને પ્રદર્શિત કરી મ્યુઝિયમને લોકોનું મ્યુઝિયમ બનાવવામાં આવશે.
‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ’ થીમ આધારિત પ્રદર્શન
હાલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિશે નીતિ વિષયક મંચ પર ચર્ચા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક બદલાવ ત્યારે જ આવી શકે છે, જ્યારે તેને શિક્ષણ પદ્ધતિમાં અને સમાજમાં વણી લેવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ મ્યુઝિયમમાં ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ’ થીમ પર આધારિત એક પ્રદર્શન વિકસિત કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન મુખ્યત્વે પર્યાવરણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, વાતાવરણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પ્રદૂષણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેમજ ઊર્જા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા મુખ્ય વિષયો પર આધારિત છે.
ખોજ મ્યુઝિયમ ખાતે પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસિત કરવામાં આવેલી છે, જેથી કરીને વિદ્યાર્થીઓ અને સમાજને લાભદાયી બને તેવી પ્રવૃત્તિઓનું સતત આયોજન થતું રહે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને ૨૦ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન
- અનંત પ્રસ્થાન પર સ્વામી સ્મરણાનંદ
- “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન
- એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન
- ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો
- સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર
- ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી