૪૬ સંસ્કૃત પાઠશાળાનું સશક્તિકરણ કરવામાં આવશે, વિદ્યાર્થીઓની સહાય-સુવિધામાં પણ વધારો

— સરકારના નિર્ણયથી ૩ સરકારી, ૩૪ અર્ધસરકારી અને ૯ અનુદાનિત સંસ્કૃત પાઠશાળાને લાભ

— છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ફૂડ બિલ સહાય રૂ. ૧૨,૦૦૦ આપવામાં આવશે

— ગણવેશ, પુસ્તક, સ્ટેશનરી તથા જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે વિદ્યાર્થી સહાય રૂ. ૪૦૦૦ આપવામાં આવશે

— સંસ્કૃત પાઠશાળાના અભ્યાસક્રમો જી.સી.ઈ.આર.ટી. દ્વારા તૈયાર કરવામાં આવશે

ગાંધીનગરઃ   સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ માટે તત્વચિંતનના સંવર્ધન માટે હયાત સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરવાનો ઐતિહાસિક નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે તેમ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું.

સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ માટે તત્વ ચિંતનના સંવર્ધન માટે હયાત ૩ સરકારી, ૩૪ અર્ધસરકારી અને ૯ અનુદાનિત એમ કુલ ૪૬ પાઠશાળાનું સશક્તિકરણ કરવામાં આવશે. સંસ્કૃત ભાષાની જાળવણી તેમજ સંસ્કાર અતિ મહત્વના છે ત્યારે સંસ્કૃતમાં તેની જાગૃતતા વધે એ હેતુથી ચાલતી પાઠશાળાઓ માટેનો અગત્યનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો છે.

૬, ૭, ૮ ના વર્ગો શરૂ કરવા પૂર્વ માધ્યમમાં ૯ અને ૧૦ અને પૂર્વ વર્ગમાં ધો. ૧૧ અને  ૧૨ ના વર્ગોનું નિયમન કમિશનર શાળાની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવશે તમામ પાઠશાળાઓને ૧૦૦ ટકા ગ્રાન્ટ તેમજ નિભાવ ગ્રાન્ટ આપવામાં આવશે. આ શાળાઓમાં અધ્યાપકો નિમણૂક કેન્દ્રીયકૃત પદ્ધતિથી કરવામાં આવશે. આ ઉપરાંત છાત્રાલય ગૃહપતિ,રસોઈ, હેલ્પર, અધ્યાપક, ચોકીદારની વ્યવસ્થા માટેની ગ્રાન્ટની  જોગવાઈ કરવામાં આવી છે.

આ પાઠશાળાઓમાં યજ્ઞશાળા, લેબોરેટરી, વૈદિક ગણિત, ખગોળ વિજ્ઞાન, જ્યોતિષ લેબોરેટરી ની સુવિધાઓ આપવામાં આવશે. છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ફૂડ બિલ સહાય રૂ. ૧૨,૦૦૦ આપવામાં આવશે તેમજ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તક, સ્ટેશનરી તથા જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે વિદ્યાર્થી સહાય રૂ. ૪૦૦૦ આપવામાં આવશે. સંસ્કૃત પાઠશાળા ગ્રંથાલય સંવર્ધિત કરવા માટે તેમજ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોની જાળવણી અને ડિજિટલાઇઝેશન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ડિજિટલ ઇન્ડિયાની નેમ અંતર્ગત વાત કરતા હોય ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિ વર્ષ ૨૫૦૦૦ થી ૪૦૦૦૦ વાર્ષિક ગ્રાન્ટ આપવામાં આવશે.

આ સંસ્કૃત પાઠશાળાના અભ્યાસક્રમો જી.સી.ઈ.આર.ટી. દ્વારા તૈયાર કરવામાં આવશે તેમજ પરીક્ષાનું માળખું પૂર્વ મધ્યમાં અને ઉત્તર મધ્યમાં કક્ષના વર્ગો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા તૈયાર કરવામાં આવશે અને તમામ સંસ્કૃત પાઠશાળાઓનું જોડાણ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે જોડવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

દેશ ગુજરાત