નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે ; ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે હસ્તક્ષેપ

અમદાવાદઃ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે.

રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. નાફેડ ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં 09.03.23થી ડુંગળીની ખરીદી શરૂ કરશે.

રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા આ દરમિયાનગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રો પર વધુ સારા દરનો લાભ લેવા માટે ખેડૂતોને તેમની સારી ગુણવત્તા અને સૂકો સ્ટોક ખરીદી કેન્દ્રો પર લાવવા વિનંતી કરવામાં આવે છે. ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવશે.

જરૂર મુજબ સમયાંતરે વધુ કેન્દ્રો ખોલવામાં આવશે. PIB