સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ

ગાંધીનગર: સિંચાઇ અને ભૂમિ સંરક્ષણ માટે મહેસૂલી ખર્ચ રૂ.૨૫૪૪.૦૨ કરોડ અને મૂડી ખર્ચ માટે રૂ.૮૫૨૬.૯ કરોડની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ કે, જળસંપત્તિ વિભાગ દ્વારા સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવો, નવી માળખાકીય સુવિધા ઉભી કરવી, નવી સિંચાઈ યોજનાઓ/જળસંગ્રહ માટેના સ્ટ્રક્ચરો બનાવી સિંચાઈથી વંચિત વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી, ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા જેવા બહુહેતુક કાર્યો હાથ ધરવામાં આવે છે. 

મંત્રીશ્રીએ ઉત્તર ગુજરાત વિસ્તારની પરિસ્થિતિ અંગે માહિતી આપતા કહ્યું કે, આ કાયમી જળ સમસ્યાવાળા વિસ્તારમાં થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોને પુરક સિંચાઈનો લાભ થશે. તે ઉપરાંત ખોરસમ–માતપુર–ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુક્તેશ્વર જળાશયમાં નર્મદાના પૂરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ.૧૦૯ કરોડની જોગવાઈ, કસરાથી દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ.૬૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેનાથી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે. તેવી જ રીતે ધરોઈ ડેમથી સંત સરોવર બેરેજ સુધીમાં સંબંધીત વિવિધ ગામો પાસે પાંચ બેરેજ/વિયર બનાવવાની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમની કામગીરી માટે રૂ.૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ મળશે. તો બીજી તરફ ગાંધીનગર ખાતે આવેલા ગીફટ સીટી નજીક સાબરમતી નદીના કાંઠાના પ્રોટેક્શનની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ તેમજ ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવા માટેની કામગીરી માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

મંત્રીશ્રીએ કચ્છ વિસ્તારની માહિતી આપતા ઉમેર્યું કે, એક સમય એવો હતો કે પશુપાલકો હિજરત કરી જતા, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો છે. કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના તબક્કા-૧ અને તબક્કા-૨ અન્વયેના કામો માટે રૂ.૪૩૬૯ કરોડની અંદાજિત રકમની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રથમ તબક્કા હેઠળ કચ્છ જિલ્લાના ૬ તાલુકાને સિંચાઇનો લાભ મળશે. પ્રથમ તબક્કાના ત્રણ લીંકોના કામો પૈકી નોર્ધન લીક, સધર્ન લીંક અને હાઇ કન્ટુર સ્ટોરેજ લીંકના કામો શરુ થયા છે જ્યારે સારણ લીંકની કામગીરીનું ટે‍ન્ડર મંજુર કરવામાં આવ્યું છે. પ્રથમ અને દ્વિતીય તબક્કાના કામો માટે બજેટમાં રૂ.૧૯૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થા અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, એક જમાનામાં સૌરાષ્ટ્રના વિસ્તારો સુકાભઠ વિસ્તારો હતા કે જ્યાં પીવાના પાણી માટે પણ લોકો વલખા મારતા હતા. સૌરાષ્ટ્રના વિસ્તારો માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે. જે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થઈ ગયા છે. પૂર્ણ થયેલ કામગીરીથી ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાના પાણીનો ફાયદો થયો છે અને આશરે પાંચ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થઇ છે. 

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરતી નિયંત્રક, બંધારા, રિચાર્જ રીઝર્વોયર, રિચાર્જ ટેન્ક, રિચાર્જ વેલ, વનીકરણ, નાલા પ્લગ, વિસ્તરણ નહેરો, રેડીયલ કેનાલો અને ચેકડેમો ક્ષાર નિવારણ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી સૌરાષ્ટ્રમાં અને કચ્છ વિસ્તારમાં ૪૩૯ લાખ ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ થતાં જમીનને સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો મળ્યો છે. આ કામો થકી ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો તથા ભૂગર્ભ જળની સપાટીમાં વધારો નોંધાયો છે. 

રાજ્ય સરકાર દ્વારા આયોજન હેઠળના કામોની વિગતો આપતા જણાવ્યું કે, ભાવનગર જીલ્લાના તળાજા તાલુકામાં મેથળા બંધારાનું, સરતાનપર બંધારાનું કામ, ગીર સોમનાથ જીલ્લાના આવેલ હયાત આદ્રી બંધારાથી મૂળ દ્વારકા ટાઇડલ રેગ્યુલેટરને જોડતી વિસ્તરણ નહેરનું કામને અંદાજીત રૂા.૧૦૧.૯૯ કરોડની સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તે ઉપરાંત ધેડ વિકાસ યોજના–ક્ષાર અંકુશ યોજનાના કામો માટે અંદાજિત કિંમત રૂ. ૩૭ કરોડનું આયોજન છે. માલણ બંધારા તથા સમઢીયાળા બંધારાને જોડતી વિસ્તરણ નહેર માટે અંદાજે રૂ.૩૯.૧૫ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ઉપરાંત નાની સિંચાઇ યોજનાઓ/જુના સ્ટ્રક્ચર/અનુશ્રવણ તળાવો/ ચેકડેમો જે રિપેર થઇ શકે તેવા કામોને સેઇફ સ્ટેજે લઇ જવા, ડીપનીંગ થઇ શકે તેવા ચેકડેમો જે તે યોજનાઓમાં થયા હોય પરંતુ રિપેર થઇ શકે તેવા હોય, તેવા તમામ કામોને સલામત સ્થિતિએ લઇ જવાના કામોને ચાલુ વર્ષે અગ્રતા આપવામાં આવશે.

મંત્રીશ્રીએ આદિવાસી વિસ્તાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા અંગે જણાવ્યું કે, રાજ્યમાં ઉમરગામથી અંબાજી સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પૂરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ ઉદ્‌વહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓ અંગે કહ્યું કે, આદિવાસી વિસ્તાર જ્યાં અંતરિયાળ/પર્વતીય વિસ્તારોમાં પાણી પહોંચાડવુ મુશ્કેલ હતુ ત્યાં કડાણા જળાશય, કરજણ જળાશય, કાંકરાપાર જળાશય અને ઉકાઇ જળાશય આધારિત ૧૩ મોટી ઉદ્‌વહન યોજનાઓ સિંચાઇ સુવિધા આપવા માટે રૂ.૫૦૪૨ કરોડના ખર્ચે હાથ ધરાઇ છે. આ પૈકી ૭ યોજનાઓની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ૬ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. પ્રગતિ હેઠળની રૂ.૧૦૨૦ કરોડના ખર્ચે ઉકાઇ જળાશય આધારિત સોનગઢ–ઉચ્છલ–નીઝર ઉદ્‌વહન પાઇપલાઇન માટે રૂ.૧૭૫ કરોડની જોગવાઇ કરી છે. સુરત જિલ્લામાં રૂ.૫૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્‌વહન પાઇપલાઇન યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની નર્મદા જિલ્લાના કરજણ જળાશય આધારીત રૂ.૪૧૮ કરોડ કિંમતની ઉદ્‌વહન પાઇપલાઇન યોજના માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ, જેનાથી નર્મદા જિલ્લાના, સુરત જિલ્લાના અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. ઉપરાંત પ્રગતિ હેઠળની રૂ.૭૧૧ કરોડની અંદાજિત રકમની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ.૧૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજીત રકમ રૂ.૨૨૬.૩૪ કરોડની કડાણા જળાશય આધારિત કડાણા-દાહોદ પાઇપલાઇનનું વિસ્તૃતિકરણના કામોથી સિંચાઇથી વંચિત રહેતા આદિવાસી વિસ્તારને લાભ થશે.  

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના તેમજ મહીસાગર જિલ્લાના વિસ્તારો માટે પાનમ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજના માટે તથા પંચમહાલ જિલ્લાના વિસ્તારો માટે પાનમ જળાશય આધારિત પંચમહાલ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તાર માટેની યોજનાઓ માટે જોગવાઇ કરવામાં આવી છે. કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત યોજના માટે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે તથા સંતરામપુર તાલુકાનાં ગ્રામ્ય તળાવો તથા મોરલનાકા અને બાબરી નાની સિંચાઇ યોજનાને પાઇપલાઇન દ્વારા લીંક કરી પાણી ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે. આ બન્ને કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં વાત્રક નદીના બંને કાંઠા પાસે વેલ પોઇન્ટ બનાવી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારના તળાવો ભરવાની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદ્દવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના વિવિધ તળાવો ભરવા માટે યોજનાનો સમાવેશ થાય છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગે એલ.આઈ સ્કીમ તથા કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇન દ્વારા લિન્ક કરી પાણી ભરવાની યોજના બનાવી સિંચાઇ સુવિધા આપવા માટે જોગવાઇ કરવામાં આવી છે. પાનમ જળાશય આધારીત (વાંકડી ગામ પાસેથી) સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે અંદાજિત રૂ.૧૩૨.૭૨ કરોડની ઉદ્‌વહન સિંચાઇ યોજનાનું આયોજન કરેલ છે. જેનાથી ૨૩ ગામો લાભિત થશે. 

મંત્રીશ્રીએ વિયર, રિચાર્જ યોજનાઓ તથા અન્ય કામો અંગે ઉમેર્યું કે, નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ, નવસારી જીલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોને સિંચાઇ સુવિધા આપવા માટે પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જળસંચયની કામગીરી અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, જળસંચયની કામગીરી માટે રૂ.૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવાના/નવા તળાવોના ૨૭૭૯૯ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૧૬૨૯૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૪૫૦૮ કામો કરવામાં આવ્યા છે. કુલ ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા છે. અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામોથી જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે તથા ૧૭૮ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થયેલ છે. રાજ્યમાં ૧,૮૬,૦૦૦થી વધારે ચેકડેમો બાંધવામાં આવ્યા છે. આ ચેકડેમો પૈકી અમુક ચેકડેમોને મરામત/સુદૃઢીકરણની જરૂરીયાત હોવાથી મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર કરેલ વિવિધ બિનસરકારી સંગઠનો માટે જનભાગીદારીથી ૮૦:૨૦ ની ફોર્મ્યુલા અંતર્ગત એક નવતર પહેલ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ વધારે ને વધારે લોકભાગીદારી થાય, લોકો જોડાય જેથી જળસંચય અભિયાન થકી જળ સંગ્રહમાં વધારો થાય તે અમારી સરકારનો શુભ આશય છે. 

જુના કામો/હયાત બાંધકામ/ચેકડેમ/નહેરોની સુધારણા અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન અંગે મંત્રીશ્રીએ કુંવરજીભાઇ બાવળીયાએ ઉમેર્યું કે, રાજ્યમાં ૨૫ વર્ષ કે તેથી જુના સ્ટ્રક્ચર હયાત હોય અને તેની સુધારણા કોઈ પણ સ્કીમ હેઠળ અગાઉ ન થયેલી હોય, તેવા સ્ટ્રક્ચરનું નવીનીકરણ ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષોથી જુના સ્ટ્રક્ચરો છે, તે તમામનું તબક્કાવાર ઓછા ખર્ચે નવીનીકરણ થશે. આ ઝુંબેશથી સ્વાભાવિકપણે સિંચાઈ વિસ્તાર વધશે, પાણીની સંગ્રહ શક્તિ વધશે, પાણીનો દુર્વ્યય થતો અટકશે તેમજ ખેડૂતોને સમયસર, પ્રમાણસર અને પૂરતું પાણી પિયત માટે મળી રહેશે.

અટલ ભૂજલ યોજના અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલબિહારી વાજપાઈજીની જન્મજ્યંતિ પર ૨૫મી ડિસેમ્બર-૨૦૧૯ થી અટલ ભૂજલ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે. આ યોજના ભૂગર્ભજળને લગતી છે અને તેનું લક્ષ્ય દેશનાં જે ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઘણું નીચે ઉતરી ગયું છે, તેવા ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઉપર લાવવાનું છે. ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ-૬ જિલ્લાઓમાં આ યોજના હેઠળ આવરી લેવાયા છે.

મંત્રીશ્રીએ અન્ય અગત્યની યોજનાઓ અંગે ઉમેર્યું કે, સૂક્ષ્મ સિંચાઇથી પર ડ્રોપ, મોર ક્રોપની વિભાવના સાર્થક થશે. ઉદ્‌વહન સિંચાઇ યોજનાઓમાં પાઇપલાઇન દ્વારા અપાતા પાણીમાં સૂક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફીસીયન્સીમાં વધારો કરી પાણી અને વીજળીની બચત અને ખેત ઉત્પાદન વધારી શકાય છે. ઉદ્‌વહન સિંચાઇ યોજનાઓને સૂક્ષ્મ સિંચાઇથી જોડવા માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૪૮૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.