રાજ્યમાં ૨૦ હજાર કરોડથી વધુના ખર્ચે ૩૧૧૨ કી.મી. બલ્ક પાઇપલાઇનનું મજબૂત માળખું
March 11, 2023
ગાંધીનગર : ગુજરાતના છેવાડાના માનવીને પીવાલાયક શુદ્ધ પાણી અને ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારસતત પ્રયત્નશીલ છે, તેમ પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી વર્ષે પણ ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદૃઢ આયોજન કરી પાણી પુરવઠા વિભાગ માટે રૂ. ૪૭૯૨.૯૩ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.
આજે વિધાનસભા ખાતે પાણી પુરવઠા વિભાગની અંદાજપત્રીય માંગણીઓનો જવાબ આપતા મંત્રી શ્રી બાવળીયાએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે ત્રણ આયામી વ્યવસ્થા થકી પીવાના પાણી માટે અભૂતપૂર્વ કામગીરી કરી છે. રાજ્યના તમામ વિસ્તારો માટે ઉભી કરાયેલી જળ સલામતીની વ્યવસ્થા “ટ્રાન્સફર્મેટીવ ગવર્નન્સ”નું ઉત્તમ ઉદાહરણ છે.
રાજ્યમાં પાણીની અછતની સ્થિતિને નિવારવા માટે બનાવવામાં આવેલી રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના તમામ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રૂ. ૨૦ હજાર કરોડથી વધુના ખર્ચે મજબૂત માળખું બનાવવામાં આવ્યું છે. જેના પરિણામે રાજ્યમાં ૩૧૧૨ કિ.મી. બલ્ક પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, આ પાણી પુરવઠા ગ્રીડ દ્વારા રાજ્યના ૧૮ હજાર ગામડાઓ પૈકીના ૧૪,૪૦૦થી વધુ ગામો તેમજ ૨૪૦ શહેરો સરફેસ સ્ત્રોતથી જોડાયેલા છે. જે પૈકીના ૧૦ હજારથી વધુ ગામો નર્મદા આધારિત છે. આમ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૩૫૨ જૂથ યોજનાઓ થકી ૪.૩૬ કરોડ નાગરિકોને દૈનિક ૩૪૦૦ એમ.એલ.ડી. પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે.
ચાલુ વર્ષના બજેટમાં પાણી પુરવઠા વિભાગની મહત્વપૂર્ણ જોગવાઇઓ અંગે વાત કરતા મંત્રી શ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં જલ જીવન મિશન યોજના માટે રૂ. ૨૬૦૧.૮૬ કરોડ, ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે રૂ. ૧૩૦૦ કરોડ, નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે રૂ. ૮૦૦ કરોડ અને રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વૉટર માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં ગ્રામ્ય આંતરિક પાણી પુરવઠા યોજનાઓ માટે ૧૦ ટકા લોકફાળાની રકમ ભરવાથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવી જ રીતે અનુસૂચિત જાતિની ૪૦ ટકા કે ૨૫૦થી વધુ વસ્તી ધરાવતા ગામો માટે પણ લોકફાળામાંથી મુક્તિ આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ જલ જીવન મિશન અને હર ઘર જલ યોજના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, દેશના તમામ નાગરિકને વર્ષ ૨૦૨૪ સુધીમાં ઘરે-ઘરે શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તે માટે વડાપ્રધાનશ્રીએ “હર ઘર જલ“ યોજના જાહેર કરી છે. જેના પરિણામે વર્ષ ૨૦૧૯-૨૦થી”જલ જી વન મિશન” હેઠળ “નલ સે જલ” અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૯૧.૭૭ લાખ જેટલા ઘરોને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે જોડાણ આપવામા આવ્યા છે. આ વર્ષના બજેટમાં જલ જીવન મિશન યોજના માટે રૂ. ૨૬૦૧.૮૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વધુમાં મંત્રી શ્રી બાવળીયાએ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની જોગવાઈ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્યકક્ષાએ ઓછામાં ઓછાં ૧ દિવસ સુધી પાણીનો સંગ્રહ થાય તે માટે રાજ્યમાં નવીન સ્ટોરેજ ભૂગર્ભ ટાંકાઓ બનાવવા માટે એક ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. રાજ્યના આદિજાતિ વિસ્તારો કે જ્યાં ઉપરના ગામડાઓમાં પાણીનો સરફેસ સોર્સ નથી ત્યાં બલ્ક લાઇન મારફતે સરફેસ સોર્સ ઉભા કરવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો છે. જેના ભાગરૂપે ૧૪૩૦ ગામોને આવરી લેતી પાંચ બલ્ક પાઇપલાઈન યોજના માટે બજેટમાં રૂ. ૧૫૪૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
પાણી પુરવઠા મંત્રીશ્રીએ નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના અંગે વાત કરતા ઉમેર્યું હતું કે, ઢાંકી અને નાવડા આધારિત સૌરાષ્ટ્ર કચ્છ વોટર ગ્રીડની કેપેસીટી ૨૫૦૦ એમ.એલ.ડી. છે. જેમાં બોટાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લાઓ માટે ક્ષમતા સંવર્ધનના ઉદ્દેશ સાથે બુધેલથી બોરડા સુધીની બલ્ક પાઇપલાઇનના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. નાવડાથી ચાવંડ સુધીની પાઇપલાઇન અને ઢાંકીથી નાવડા સુધીની પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે. જ્યારે ધરોઇથી ભેંસાણ સુધીની પાઇપલાઇનના કામો શરુ કરવામાં આવ્યા છે. નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે બજેટમાં રૂ. ૮૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યના આદિજાતિ વિસ્તારો માટે ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોના પહાડી વિસ્તારમાં હેન્ડપંપની જગ્યાએ સરફેસ વોટર માટે મીની પાણી પુરવઠા યોજનાઓ અને બલ્ક પાઈપ લાઈન મારફતે જૂથ યોજનાઓ બનાવવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના ૪૫૯૦ ગામ-ફળીયાને આવરી લેતી અંદાજિત રૂ. ૫૬૭૭ કરોડની ૧૧૬ યોજનાના કામો પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત ૧,૪૮૦ ગામ-ફળીયાને આવરી લેતી અંદાજિત રૂ. ૧,૩૯૮ કરોડની ૩૧ યોજનાના કામો હાલમાં ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.
તાજેતર ના લેખો
- ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને ૨૦ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન
- અનંત પ્રસ્થાન પર સ્વામી સ્મરણાનંદ
- “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન
- એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન
- ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો
- સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર
- ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી