અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર ઝોન પ્રમાણે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે: આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વર્ષ 2023-24ની અંદાજપત્રની માંગણીઓ પર વિધાનસભામાં ચર્ચા કરતા જણાવ્યું કે,આરોગ્ય વિભાગની માંગણીઓ પર કાપ દરખાસ્ત નહી પરંતુ ખાસ દરખાસ્ત જ હોવી જોઇએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઇ સુપર સ્પેશ્યાલિસ્ટ સરકારી આરોગ્ય સેવાનું માળખું આજે રાજ્યના પ્રત્યેક નાગરિકની આરોગ્ય સુખાકારીમાં વધારો કરી રહ્યું છે.
રાજ્યમાં ઉપલબ્ધ 8844 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1475 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 354 અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 365 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, 59 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 518 પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોએ રાજ્યની ગ્રામ્ય સ્તરની આરોગ્ય વ્યવસ્થાઓને શ્રેષ્ઠત્તમ અને અસરકારક બનાવી છે.

રાજ્યની આરોગ્ય સેવાઓને શહેરી વિસ્તાર પૂરતી સીમિત ન રાખીને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારે કટિબધ્ધતા સાથે કાર્ય કર્યું છે. વર્ષ 2023-24 ના અંદાજપત્રમાં નવીન ચાર મેડિકલ કૉલેજની જોગવાઇ કરવામાં આવી છે. વધુમાં ગત વર્ષની ત્રણ મેડિકલ કૉલેજની પણ આ વર્ષે મંજૂરી મળશે.આ તમામ પ્રક્રિયા પૂર્ણ થતા આ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં કુલ 43 મેડિકલ કૉલેજ કાર્યરત બનશે. જેના થકી રાજ્યમાં દર વર્ષે 7000 જેટલા નવા ડૉક્ટર્સ મળશે.

રાજ્યમાં અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર ઝોન પ્રમાણે સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ, સેવાઓ, ઉપકરણો, રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્કર્સના નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે જ નિષ્ણાંત તબીબોનું આરોગ્યવિષક માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્યમાં ટેલીમેડિસીન અને ઇ-સંજીવની સેવા ઉપલબ્ધ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 25.97 લાખ ટેલિકન્સલ્ટેશન અને 9.87 લાખ જેટલા નાગરિકોએ ઇ-સંજીવની ઓ.પી.ડી.નો લાભ મેળવ્યો છે.

ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ(GDP) હેઠળ રાજ્યમાં કાર્યરત 272 ડાયાલિસીસ કેન્દ્રોના માળખાએ રાજ્ય અને રાજ્ય બહારથી કિડનીની સારવાર અર્થે ગુજરાતમાં આવતા દર્દીઓની તકલીફ દૂર કરવાનું કામ કર્યું છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતુ.

રાજ્ય આરોગ્ય વિભાગની વિવિધ આરોગ્ય વિષયક સેવાઓના પરિણામે જ ગુજરાતમાં માતા મૃત્યુદર 57 અને બાળમૃત્યુદર 23 એ પહોંચ્યો છે. વર્તમાન સમયમાં બદલાતી જીવન શૈલીના કારણે લોકોમાં જોવા મળતા બિન ચેપી રોગો પર નિયંત્રણ મેળવવા માટે પણ રાજ્ય સરકારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો થી માંડી વિવિધ તબક્કે સ્ક્રીનીંગ થી સારવાર કાર્યક્રમ હાથ ધર્યો છે. જેના અંતર્ગત અત્યાર સુધીમાં 2.70 કરોડ લોકોનું સ્ક્રીનીંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું મંત્રી શ્રી એ જણાવ્યુ હતુ.

પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત આજે રાજ્યના 1.73 કરોડ લાભાર્થીઓએ આરોગ્ય સુરક્ષા વીમા કવચ ધારણ કર્યું છે. આ વર્ષે આ યોજના અંતર્ગત મળતી વીમાની રકમ રૂ. 5 લાખ થી વધારીને રૂ. 10 લાખ કરવાનો નિર્ણય ગંભીર અને જટીલ રોગોની સારવાર , સેવામાં કારગત સાબિત થશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.