મનરેગા યોજનાના દૈનિક વેતનમાં વધારો; પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બીજો હપ્તો પણ વધ્યો
March 28, 2023
ગાંધીનગરઃ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે, શ્રમિકોનો આર્થિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મંત્રીશ્રીએ મનરેગા સંદર્ભે માહિતી આપતાં ઉમેર્યું કે, ગ્રામ્યકક્ષાએ શ્રમિકોને વધુ વેતન મળે અને તેઓના જીવન ધોરણમાં સુધારો આવે તે હેતુથી કેન્દ્ર સરકાર શ્રી દ્વારા દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં શ્રમિકોના વેતનદરમાં વધારો કરવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ ગ્રામ કક્ષાએ બિનકુશળ શ્રમિકોને ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગુજરાત માટે દૈનિક વેતન દર રૂ.૨૩૯/- થી વધારી ને રૂ.૨૫૬/- કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦.૧૮ લાખ કુટુંબોએ ૪૫૮.૯૨ લાખ માનવદિનની રોજગારી મેળવી છે.
મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે જણાવતાં કહ્યું કે, કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ- ૨૦૨૨-૨૩ અંતર્ગત ૧,૪૪,૩૮૨ આવાસો મંજૂર કરાયા છે. મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કાહ્યું કે, વર્ષ ૨૦૧૬-૧૭ થી વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં કુલ ૪,૦૨,૮૨૪ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે.
મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં રૂા. ૧ લાખ ૨૦ હજાર ની સહાય આપવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો મંજૂરીના સમયે આપવામાં આવે છે. ત્યારબાદ મકાનના પાયા, પ્લીન્થ, લીંટલ, છત અને પૂર્ણતાના આધારે બીજો હપ્તો અને ત્રીજો હપ્તો ચુકવવામાં આવતો હોય છે. હાલમાં પ્રથમ હપ્તા તરીકે ૩૦ હજાર આવાસ મંજૂર થયેથી, બીજા હપ્તા તરીકે ૫૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી, ત્રીજો અને આખરી હપ્તો રૂા. ૪૦ હજાર આવાસ પૂર્ણ થયેથી ચુકવવામાં આવે છે.
મંત્રીશ્રીએ વધુમાં માહિતી આપતા કહ્યું કે, બાકી રહેલ તમામ આવાસો સમય મયાદામાં પૂર્ણ થાય અને જરૂરી ખર્ચ પણ ઝડપથી થાય જેથી કરીને બીજા અને ત્રીજા હપ્તાની રકમમાં ફેરફાર કરી બીજો હપ્તો રૂા. ૮૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી અને ત્રીજો અને આખરી હપ્તો રૂા. ૧૦ હજાર આવાસ પૂર્ણ થયેથી ચુકવવા અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરતા તેમણે ગુજરાતની રજૂઆતને ગ્રાહય રાખી છે.
જેથી આવાસની મંજૂરી સમયે પ્રથમ હપ્તો ૩૦ હજાર, બીજો હપ્તો રૂા. ૮૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી અને ત્રીજો અને આખરી હપ્તો રૂા. ૧૦ હજાર આવાસ પૂર્ણ થયેથી ચુકવવામાં આવશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. દેશગુજરાત
તાજેતર ના લેખો
- આજે ગુજરાત
- “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન
- એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન
- ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો
- સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર
- ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી
- હોળી-ધૂળેટી તહેવારમાં એસટી બસની હજારો વધારાની ટ્રીપ સંચાલિત કરવનું આયોજન