અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત બાંધકામની કામગીરી દરમિયાન ટ્રાફીક સુચારુ રીતે ચાલે અને ટ્રાફીકની કોઇ સમસ્યા ઉદભવે નહી તે હેતુસર શાહપુરથી દિલ્હી દરવાજા ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર મેટ્રો સ્ટેશન ખાતે લીફ્ટ નાંખવાની કામગીરી દરમિયાન નીચે જણાવેલ વિગતે વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવે છે

વાહનોની અવર-જવર માટે માર્ગની વિગત :

દિવસ દરમિયાન : શાહપુરથી દિલ્હી દરવાજા તરફ જતા રોડ ઉપર દિવસ દરમિયાન સવાર કલાક ૦૬.૦૦થી રાત્રીના કલાક ૨૩.૦૦ સુધી લીફ્ટ નાંખવાનું કામ ચાલુ રહેનાર છે તે સાઇડનો ૪-મીટર રસ્તો એટલે કે એક લેન બંધ કરી બાકીનો ૪-મીટરનો રસ્તો ખુલ્લો રાખવામાં આવનાર છે. જે ૪-મીટરના રસ્તા ઉપરથી વાહનો અવર-જવર કરી શકશે.

રાત્રી દરમિયાન : શાહપુરથી દિલ્હી દરવાજા તરફ જતા રોડ ઉપર રાત્રી દરમિયાન કલાક ૨૩.૦૦થી સવાર કલાક ૦૬,૦૦ સુધી ૮-મીટર સુધીનો આખો રસ્તો બંધ કરવામાં આવશે તથા સામેની સાઇડ દિલ્હી દરવાજાથી શાહપુર જતા રોડ ઉપર તમામ વાહનો રાત્રી દરમિયાન અવર-જવર કરી શકશે.

ઉપર્યુક્ત ડાયવર્ઝનવાળો સમગ્ર રૂટ ‘નો-પાર્કિંગ ઝોન’ રહેશે તેમજ ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો, આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧/૫/૨૦૨૩થી તા.૩૦/૧૦/૨૦૨૩ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લધંન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્રરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.