RTE હેઠળ શાળામાં ખોટી રીતે પ્રવેશ મેળવેલ ૬૨૧ બાળકોનો પ્રવેશ રદ કરાયો: પ્રવકતા મંત્રી

ગાંધીનગરઃ  પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. ગરીબ બાળકો સાથે અન્યાય ન થાય તે માટે RTE પ્રવેશ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા સાથે પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ૧૦ જિલ્લામાં ખોટી રીતે પ્રવેશ મેળવેલ હોય તેવા ૬૨૧ બાળકોનો પ્રવેશ રદ કરાયો છે.

પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, RTE એકટ હેઠળ પોતાના બાળકનો પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે રાજ્યના કેટલાક વાલીઓ દ્વારા બાળકના નામ અને સરનામાં વગેરેમાં સામાન્‍ય ફેરફાર કરી ઓનલાઈન ફોર્મ ભરી ગેરરીતી આચરવામાં આવતી હોવાનું સરકારને ધ્યાને આવ્યું હતુ.

આવા પ્રવેશ ફાળવાયેલ બાળકોની SSA સંચાલિત ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં વિગતો મેળવી જિલ્લા કક્ષાએ પુનઃચકાસી તેમનો પ્રવેશ રદ કરવા રાજ્ય કક્ષાએથી સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓને ધ્યાને લઇ ભરૂચ જિલ્લામાં ૩૩, છોટા ઉદેપુરમાં ૨૫, ગીર સોમનાથમાં ૨૪, જામનગર શહેરમાં ૧૫૯, ખેડામાં ૯૨, રાજકોટમાં ૧૬૧, સાબરકાંઠામાં ૧૦, વલસાડમાં ૧૪, સુરતમાં ૩૩ અને સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૭૦ મળી રાજ્યમાં કુલ ૬૨૧ બાળકોનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્‍ડમાં ૫૪,૯૦૩ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ દરમિયાન ગત વર્ષે ધોરણ-૧માં અભ્યાસ કર્યો હોવા છતા આ વર્ષે RTE હેઠળ વાલીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી પ્રવેશ મેળવ્યાની બાબત જિલ્લા તથા રાજ્ય કક્ષાએ ધ્યાનમાં આવી હતી, જે RTEની જોગવાઈઓની વિરુદ્ધ છે. વાલી દ્વારા RTE માટે ઓનલાઈન ફોર્મ ભરતા સમયે અને પ્રવેશ ફાળવતા સમયે એડમિટ કાર્ડમાં વાલી પાસેથી બાહેંધરી લેવામાં આવે છે કે, “મારૂ બાળક શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ધો-૧/ધો-૨માં કોઇપણ શાળામાં અભ્યાસ કરતું નથી, જેની હું મારી જાણ મુજબ ખાતરી આપું છું. જો માહિતી ખોટી ઠરશે તો RTE હેઠળનો પ્રવેશ રદ થવા પાત્ર રહેશે”. આ બાહેંધરી અનુસાર ગેરરીતીથી પ્રવેશ મેળવેલ બાળકનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે.