પદ્મ એવોર્ડ માટે અરજીઓ મંગાવાઈ: ૩૦ જુન સુધી પોર્ટલ પર અરજી કરી શકાશે

નવી દિલ્હી: સમાજમાં કલા, સમાજ સેવા, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જીનીયરીંગ, ટ્રેડ અને ઉદ્યોગ, તબીબી, સાહિત્ય અને શિક્ષણ, સરકારી સેવા, રમત-ગમત વગેરે જેવા ક્ષેત્રોમાં જીવન પર્યંત અસાધારણ યોગદાન આપવા બદલ ભારત સરકાર તરફથી ‘પદ્મ એવોર્ડ’ આપવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આ એવોર્ડ જાહેર કરવામાં આવે છે. જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. પદ્મ પુરસ્કાર સંદર્ભે જાહેર જનતા પાસેથી વર્ષ ૨૦૨૪ માટેની અરજીઓ મંગાવવા માટે ભારત સરકારે www.padmaawards.gov.in પોર્ટલ ખુલ્લું મૂક્યું છે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, પદ્મ એવોર્ડ ૨૦૨૪ માટે અરજી કરવા માંગતા ભારતના નાગરિક www.padmaawards.gov.in વેબસાઈટ ઉપર જઈ સીધી અરજી કરી શકે છે. ગુજરાત સરકાર તરફથી પોતાના નામ માટે ભલામણ મેળવવા માટે આગામી તા. ૩૦ જુન સુધીમાં પદ્મ એવોર્ડની વેબસાઈટ ઉપર આપવામાં આવેલા નિયત નમુનામાં જિલ્લા કલેક્ટર મારફતે સામાન્ય વહીવટ વિભાગમાં અરજી કરવાની રહેશે. દરખાસ્ત મળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રીયા હાથ ધરી યોગ્ય નામોની ભલામણ ભારત સરકારને કરવામાં આવશે.

પદ્મ એવોર્ડ મેળવવા ઈચ્છુક વ્યક્તિનું નિર્દિષ્ટ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન હોવું જરુરી છે. આ ઉપરાંત પદ્મ એવોર્ડ માટે સમાજના નબળા વર્ગના વ્યક્તિ, અનુસુચિત જાતી અને જનજાતી, દિવ્યાંગ વગેરે વર્ગના લોકો પણ અરજી કરી શકે છે.આ એવોર્ડ માટે સરકારી અધિકારી-કર્મચારી તથા બોર્ડ કોર્પોરેશનના અધિકારી-કર્મચારી સહિત કોઈ પણ અધિકારી-કર્મચારી દરખાસ્ત કરી શકશે નહીં. પરંતુ તબીબો અને વૈજ્ઞાનિકો દરખાસ્ત કરી શકે છે. આ એવોર્ડ માટે જાતિ, વ્યવસાય, પદના ભેદભાવ સિવાય તમામ નાગરીકો અરજી કરી શકે છે તેમ વધુમાં જણાવાયું છે.