ગામના નિર્દોષ લોકોને લાલચ આપી ધર્માંતરણનો સમગ્ર ગામ એક થઈને વિરોધ કરે: આદિવાસી ડાંગ જિલ્લામાં શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી

દ્વારકા: શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં 7મી જૂનથી 9મી જૂન સુધી પ્રવાસ કર્યો હતો. આ  અવસરે આદિવાસી પરંપરા મુજબ તેમનું  સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક ગામમાં શંકરાચાર્ય  સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીના સત્સંગ પ્રવચનનું આયોજન થયું હતું.  શંકરાચાર્યએ ગામના સ્થાનિક આદિવાસી રહેવાસીઓના ઘરે પદાર્પણ કર્યું હતું. 

શંકરાચાર્યએ ગામડાઓમાં ચાલી રહેલા ધર્માંતરણ અંગે ગ્રામજનોને ચેતવતા કહ્યું હતું કે આદિવાસી સમાજ હિન્દુ સમાજ છે. ગામના નિર્દોષ લોકોને લાલચ આપીને ધર્માંતરણ  કરાવવામાં આવી રહું છે, તેનો સમગ્ર ગામ એક થઈને વિરોધ કરે તે જરૂરી છે.

9મી જૂને શંકરાચાર્ય  સ્વામી સદાનંદ સરસ્વતીએ શબરી ધામ ખાતે અન્નક્ષેત્ર ભવન (મહાપ્રસાદ)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ અન્નક્ષેત્રમાંથી શબરી ધામમાં આવતા યાત્રિકોને વિનામૂલ્યે ભોજનનો પ્રસાદ આપવામાં આવશે. શંકરાચાર્યએ શબરીધામ ટ્રસ્ટ સંચાલિત નિવાસી વિદ્યાલયનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકોને મફત શિક્ષણ, ભોજન અને રહેવાની સુવિધા આપવામાં આવશે. શંકરાચાર્યએ શબરીધામમાં શબરીમાતાના મંદિરમાં દર્શન અને સત્સંગ કર્યો. આ અવસરે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ હવેથી પ્રતિવર્ષ ડાંગમાં આવવાનું આશ્વાસન આપ્યું હતું.